Gujarat News: દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાઓમાં બાળકોની સંખ્યા વધારવા અને તેમનામાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ગુજરાતમાં 'શાલા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ૨૩ જૂને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ ત્રિ-દિવસીય મહોત્સવની ૨૪મી આવૃત્તિની શરૂઆત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ વડનગરની ઐતિહાસિક બી.એન. હાઈસ્કૂલથી આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી અને ધોરણ ૧ થી ૧૧ના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ૨૪ વર્ષ પહેલાં શરૂ કરાયેલું આ અભિયાન બાળકોને શિક્ષણ માટે પ્રેરિત કરવા અને સ્કૂલ ડ્રોપઆઉટ (શાળા છોડવાનું પ્રમાણ) ઘટાડવા માટે ખૂબ જ સફળ સાબિત થયું છે. રાજ્ય સરકાર શાલા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના માધ્યમથી દીકરીઓના શિક્ષણ પર પણ પૂરો ભાર મૂકી રહી છે.
વાલીઓએ સરકારની આ પહેલની પ્રશંસા કરી અને જણાવ્યું કે આનાથી જ્યાં એકતરફ બાળકોનો પાયો મજબૂત થઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ તેમનું ભવિષ્ય પણ ઉજ્જવળ બની રહ્યું છે. સ્વાભાવિક છે કે વર્ષ ૨૦૦૩માં શરૂ થયેલા આ અભિયાનના કારણે ગુજરાતના એજ્યુકેશન સેક્ટર (શિક્ષણ ક્ષેત્ર)માં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.
સરકારના પ્રયાસો અને જનભાગીદારીથી આજે જ્યાં શાળાઓમાં નામાંકન દર (એનરોલમેન્ટ રેટ) ૧૦૦ ટકા સુધી પહોંચી ગયો છે, ત્યાં જ ડ્રોપઆઉટ રેટ ૩૭ ટકાથી ઘટીને ૧ ટકા કરતાં પણ ઓછો થઈ ગયો છે. એકંદરે, સરકારનું આ અભિયાન સમાજમાં શિક્ષણના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવામાં અને દરેક બાળકને શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડવામાં સફળ સાબિત થઈ રહ્યું છે.






