Narmada News: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી પ્રજાના નાના-નાના પ્રશ્નો હોય, પછી તે રસ્તાના હોય, શિક્ષણના હોય, પાણીના હોય, આરોગ્યના હોય, સનદની જમીનના હોય કે અન્ય સામાજિક પ્રશ્નો હોય આ તમામ મુદ્દાઓને તેઓ મજબૂતાઈથી ઉઠાવે છે, સરકાર સામે અવાજ બુલંદ કરે છે અને લોકોને ન્યાય અપાવે છે.
પરંતુ આ ભારતીય જનતા પાર્ટી અને તેમાં બેઠેલા નેતાઓએ ફોરેસ્ટ અધિકારીઓ સાથે મિલીભગત કરીને તેમની પર ખોટી FIR દાખલ કરાવી. જેના લીધે તેમને અને અન્ય નવ જેટલા લોકોને પણ સાત-સાત વર્ષની સજા ફટકારવામાં આવી. એટલું જ નહીં, માત્ર ૧૭ દિવસનું બાળક પણ જેલમાં છે તેની પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ કથળતી જાય છે, તેમ છતાં જાડી ચામડીના ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નેતાઓ અને સરકારના પેટનું પાણી હલતું નથી.
’આપ’ નેતા નિરંજન વસાવાએ વધુમાં જણાવ્યુ હતુ કે આવનારા દિવસોમાં એટલે કે આગામી તારીખ ૦૨-૦૭-૨૦૨૬, ગુરુવારના રોજ સવારે ૧૧ કલાકે ડેડિયાપાડાના પીઠા ગામ ખાતે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ સમાજના લોકો આ સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના તમામ સામાજિક સંગઠનો અને આગેવાનો પણ અહીં પધારવાના છે. તો આપ સૌ ભાઈઓ, બહેનો અને મિત્રો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહો, તેવું અમારા તમામ આગેવાનો અને સાથીઓ તરફથી ભાવભર્યું આમંત્રણ છે.






