વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને ગંભીરાને જોડતા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને મળવા માટે ગુજરાતના પ્રિન્સિપલ સેક્રેટરી ધનંજય દ્વિવેદી વડોદરા શહેરની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
પ્રિન્સિપલ સેક્રેટરીએ હોસ્પિટલમાં દાખલ ચાર ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને તેમની સારવાર અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ધનંજય દ્વિવેદીએ તબીબો સાથે પણ ચર્ચા કરી હતી અને ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા.
આ મુલાકાત દરમિયાન, પ્રિન્સિપલ સેક્રેટરીએ જણાવ્યું કે રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોની પડખે ઊભી છે. તેમણે ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર ઇજાગ્રસ્તોને તમામ જરૂરી મદદ પૂરી પાડશે અને તેમના ઝડપી સ્વસ્થ થવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે.
આ ઉપરાંત, ઇજાગ્રસ્તોને મેજર ઇજા સિવાય શરીરના કોઈ ભાગમાં સંવેદના ગુમાવી હોય તે અંગેની ખાસ તપાસ કરવા માટે મેડિકલ સ્ટાફને સૂચનો આપ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, દુર્ઘટનામાં ઇજાગ્રસ્તો માંથી નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ગણપતસિંગ કાનસિંગ રાજપુત, રાજુ દુદાભાઇ હાથીયા અને દિલીપભાઈ રાયસંગ પઢિયાર સારવાર હેઠળ છે. જ્યારે સોનલબેન રમેશભાઈ પઢિયાર કે જેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થતા પરિવાર સાથે પરત ફરેલ છે.
ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ગરમાયો માહોલ: ભાજપના બે ઉમેદવાર સહિત ત્રણ નામો મેદાનમાં, ઉમેદવારી પ્રક્રિયા તેજ






