ગુજરાતમાં ભાજપ અને સરકારમાં મોટા ફેરફાર આવે તેવી છેલ્લા 6 મહિનાથી રાજકીય ગલિયારીઓમાં ચર્ચા છે. જે ચર્ચા બાદ તાલુકા અને જિલ્લા લેવલે તો ભાજપમાં ઘણું બધુ ફેરબદલ જોવા પણ મળ્યું છે. સાથો સાથ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી બની ગયા છે અને તેઓ અગાઉ પણ કહીં ચુક્યા છે કે, પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત થવા માંગે છે, પરંતુ કેન્દ્રીય ભાજપ સંગઠનને સમીકરણો સેટ કરવામાં કદાચ ટાઈમ નીકળી ગયો હોય કે, પછી અન્ય કોઈ કારણોસર હજુ સુધી નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી નથી, પરંતુ તે જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. જો કે, આ બધાની ચર્ચા વચ્ચે મંત્રી મંડળ વિસ્તરણની ચર્ચા પણ પૂરજોશમાં જામી છે. ત્યારે કેટલાક લોકોને મંત્રી નામનું 'પતાસું' પકડી લેવું છે, જે માટે ધીમી ગતિએ ધમ પછાડા પણ શરૂ કર્યા છે.
મંત્રી પદનું 'પતાસું' લેવા ધીમીગતિએ ધમપછાડા!
મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓને લઈ ભાજપના કેટલાક ધારાસભ્યો અંદરો અંદર અને ધીમીગતિએ મોટા નેતાઓ સુધી પોતાનું શક્તિ પ્રદર્શન પહોંચાડી રહ્યાં છે. તો કેટલાક નેતાઓ ચર્ચામાં રહેવા માટે જાણી જોઈને નાની નાની વાતમાં વિવાદ કરી લે છે અને જેમાં મોટા કેન્દ્રીય અને પ્રદેશ કક્ષાના સંગઠનની નજરમાં રહેવા માંગે છે, તો કેટલાક ધારાસભ્યો તો સમાજના નામે શક્તિપ્રદર્શન કરીને સમાજના આગેવાનો પાસે માંગ કરાવતા હોય તેવી પણ ચર્ચાઓ સામે આવી છે.
હાર્દિક પટેલ પત્ર લખ્યું હતુ અને 'સ્વાગત' માટે પણ...
થોડા દિવસ અગાઉ આંદોલનમાંથી નેતા અને ધારાસભ્ય બનેલા વિરમગામનાં ભાજપનાં ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામનાં લોકોની સમસ્યાનું નિવારણ લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોંધીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં વિનંતી અને ચિમકી બંને સૂર જોવા મળ્યો હતો. જે બાદ પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે આવ્યા હતા, ત્યારે તેઓ સ્વાગત કરવા પણ પહોંચી ગયા હતા, જેને રાજકીય નિષ્ણાંતો મંત્રી પદ માટેનું અભરખું ગણાવી રહ્યાં છે.
મહાસંમેલન અને મંત્રી પદની માંગ
આપને જણાવીએ કે, થોડા દિવસ અગાઉ નવસારીના જલાલપોર તાલુકામાં કોળી સમાજનું યુવા મહાસંમેલન અને બાઈક રેલી યોજાઈ હતી. તેમને જણાવી દઈએ કે, આ મહાસંમેલન ધારાસભ્ય આર.સી પટેલની આગેવાનીમાં યોજાયા હતો. આ મહાસંમેલનમાં બાઈક અને કાર કાફલા સાથે જલાલપોર તાલુકાના કોળી સમાજના આગેવાનો અને યુવાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જે લોકોએ આર.સી પટેલને મંત્રી પદ આપવાની માંગણી કરી હતી.
MLA મોહન ઢોડિયા પોલીસ સામે આક્ષેપ કર્યો હતો...!
મહુવાના ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયાએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખી પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતો. જિલ્લા પોલીસ વડાને લેટર લખી વાલોડ પોલીસ મારામારી કરતા તત્વોને પ્રોત્સાહિત કરતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આદિવાસી પંચના નામે બિનઅધિકૃત પંચ બનાવી RTI કરી તથા અન્ય ધાક ધમકી આપી પૈસાની ઉઘરાણી કરતા લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.






