Surat Patidar Teacher Case : પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. 3 હજાર પાનાંના FSL રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. જેમાં સામે આવ્યું છેકે, બહુચર્ચિત શિક્ષિકા આપઘાત કેસમાં પીડિતાને ગર્ભ પણ હતો. થોડા સમય પહેલા સુરતની 19 વર્ષીય શિક્ષિકાએ એક કિશોરના ત્રાસથી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના સામે આવ્યાં બાદ સુરત સહિત રાજ્યભરમાં પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ મુદ્દે છેક સરકાર સુધી આક્રોશનો રેલો પહોંચ્યો હતો.
મામલો સામે આવતા આ કેસમાં કિશોર અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી હતી. કિશોરને જુવેનાઈલ હોમમાં મોકલાયો હતો, તો પિતાને જેલમાં ધકેલાયા હતા. બીજી તરફ, કોર્ટે બંનેની જામીન અરજી નકારી કાઢી હતી. તેથી કિશોરે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. 19 વર્ષીય યુવતી નેનુ રણજીતભાઈ વાવડીયાના આપઘાતના કેસમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) દ્વારા રજૂ કરવામાં આવેલ ત્રણ હજાર પાનાંના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે પીડિતાને ગર્ભ હતો.
શિક્ષિકાના મોબાઈલમાંથી મળી ગંભીર વિગતોઃ
પોલીસે નેનુનો મોબાઈલ ફોન FSLમાં તપાસ માટે મોકલ્યો હતો. આ મોબાઈલમાંથી જીમેઇલ ચેટિંગની વિગતો સામે આવી છે. ચેટિંગના આધારે ખુલાસો થયો છે કે નેનુ અને આરોપી કિશોર વચ્ચે શારીરિક સંબંધ હતાં અને ગર્ભપાત અંગેની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. આ મુદ્દા પરથી કેસમાં બળાત્કાર અને ગર્ભપાત કરાવવાના ગુના ઉમેરી શકાય છે એવી દલીલ ફરીયાદી પક્ષના વકીલે કરી છે.
આરોપી કિશોર અને તેના પિતા સામે કાર્યવાહીઃ
આ બનાવ બાદ પોલીસે આરોપી કિશોર અને તેના પિતાની ધરપકડ કરી હતી. કિશોરને જુવેનાઇલ હોમમાં અને તેના પિતાને જેલમાં મોકલવામાં આવ્યા છે. અગાઉ બંનેની જામીન અરજી કોર્ટે નકારી નાખી હતી. હાલમાં કિશોરે સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. ફરીયાદી પક્ષે દલીલ કરી છે કે જામીન મંજૂર કરવામાં આવે તો આરોપી પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે છે.
13 જુલાઈના રોજ થયો હતો આપઘાતઃ
એમ.એમ. સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી નેનુ વાવડીયાએ 13 જુલાઈના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. માત્ર 19 વર્ષની નેનુ પરિવારની એકમાત્ર દીકરી હતી. પરિવારના જણાવ્યા અનુસાર નેનુ છેલ્લા છ મહિનાથી એક યુવક દ્વારા સતત હેરાન થઈ રહી હતી. આ અંગે નેનુના પિતાએ આરોપીના પિતાને પણ જાણ કરી હતી, તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો ન આવ્યો.
આ મામલે પોલીસની તપાસ ચાલુ છે અને હવે ચેટિંગ તેમજ FSL રિપોર્ટના આધારે આરોપીઓ વિરુદ્ધ IPCની વધુ ગંભીર કલમો ઉમેરવાની તૈયારી છે. આ કેસની આગામી સુનાવણી 1 સપ્ટેમ્બરના રોજ નક્કી કરાઈ છે.






