અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાવાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચિંતા અને ચર્ચાનો માહોલ ઊભો કર્યો છે. સોશિયલ મીડિયામાં પણ દીપડાને લઈને અનેક પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે. પરંતુ વન વિભાગના નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં દીપડાની કાયમી વસતિ જ નથી. શહેરમાં દેખાતા દીપડા મોટા ભાગે જંગલ વિસ્તાર અથવા નદીના પટ્ટાઓમાંથી ભટકીને આવી જતા હોય છે અને બાદમાં ફરી જંગલ તરફ પરત ફરી જાય છે.
બીજી તરફ, ઉપલબ્ધ જિલ્લા-વાર આંકડાઓ દર્શાવે છે કે ગુજરાતમાં હાલ કુલ 2,274 દીપડા નોંધાયેલા છે, જ્યારે વન વિભાગના અંદાજ મુજબ હાલ રાજ્યમાં તેમની સંખ્યા આશરે 2,600 સુધી પહોંચી ગઈ છે. આ આંકડા દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દીપડાની સંખ્યામાં વધારો થયો છે.
અમદાવાદ સહિત 6 જિલ્લામાં કાયમી વસતિ નથી
વન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોટાદ અને પાટણ એવા જિલ્લાઓ છે જ્યાં દીપડાની કાયમી વસતિ નોંધાયેલી નથી. જોકે, તેનો અર્થ એ નથી કે અહીં ક્યારેય દીપડો જોવા મળતો નથી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ધરોઈ ડેમ વિસ્તાર, સાબરમતી નદીનો પટ્ટો અને આસપાસના જંગલ વિસ્તારોમાંથી કોઈ દીપડો ખોરાક અથવા વિસ્તારની શોધમાં શહેરની સીમા સુધી આવી શકે છે. આવા બનાવો સામાન્ય રીતે થોડા સમય માટે જ હોય છે અને વન વિભાગની કામગીરી બાદ પ્રાણી ફરી જંગલ વિસ્તારમાં પરત ફરી જાય છે.
ગુજરાતમાં સૌથી વધુ દીપડા ક્યાં?
જિલ્લાવાર આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં દીપડાની વસતિ કેટલીક ચોક્કસ જગ્યાઓમાં જ કેન્દ્રિત છે.
રાજકોટ જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને છે, જ્યાં 578 દીપડા નોંધાયા છે.
બીજા ક્રમે સાબરકાંઠા જિલ્લામાં 257 દીપડા છે.
ત્રીજા ક્રમે છોટાઉદેપુર જિલ્લામાં 200 દીપડા નોંધાયા છે.
આ ઉપરાંત સુરત (105), બનાસકાંઠા (105), અરવલ્લી (104), જૂનાગઢ (84), ભરૂચ (66) અને વલસાડ (62) જેવા જિલ્લાઓમાં પણ નોંધપાત્ર સંખ્યામાં દીપડા વસે છે.
ક્યાં જિલ્લામાં એક પણ દીપડો નોંધાયો નથી?
જિલ્લાવાર ઉપલબ્ધ માહિતી મુજબ ડાંગ, ગાંધીનગર, કચ્છ, મહિસાગર અને પોરબંદર જિલ્લામાં દીપડાની સંખ્યા શૂન્ય દર્શાવવામાં આવી છે.
જ્યારે મહેસાણામાં માત્ર 1, ખેડામાં 3, મોરબીમાં 5, દેવભૂમિ દ્વારકામાં 11, તાપીમાં 11 અને પંચમહાલ તથા સુરેન્દ્રનગરમાં 14-14 દીપડા નોંધાયા છે.
દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં કેમ વધારે છે દીપડા?
વન્યજીવ નિષ્ણાતોના મતે દીપડાને ઘન જંગલ કરતાં મિશ્ર પ્રકારનું નિવાસસ્થાન વધુ અનુકૂળ રહે છે. જંગલ, ખેતી વિસ્તાર, નદીના પટ્ટા અને નાની ટેકરીઓ ધરાવતા વિસ્તારોમાં તેઓ સરળતાથી અનુકૂલન કરી શકે છે. પૂર્વ ગુજરાતના અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ અને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી જેવા વિસ્તારોમાં જંગલો અને પૂરતો કુદરતી ખોરાક હોવાથી દીપડાની વસતિ વધુ જોવા મળે છે.
અમદાવાદમાં વારંવાર દીપડો કેમ દેખાય છે?
તાજેતરના વર્ષોમાં અમદાવાદના ઘુમા, ભાડજ, સાયન્સ સિટી, શીલજ, થલતેજ અને એસ.જી. હાઇવે નજીકના વિસ્તારોમાં દીપડો દેખાવાની અનેક ઘટનાઓ બની છે.
નિષ્ણાતોનું કહેવું છે કે શહેરની આસપાસનો હરિયાળો વિસ્તાર, નદીના પટ્ટા, ખેતરો અને શ્વાન જેવા સહેલાઈથી મળતા શિકારને કારણે દીપડા ક્યારેક શહેરની સીમા સુધી પહોંચી જાય છે. પરંતુ તે અહીં કાયમી વસવાટ કરતા નથી.
2023થી અત્યાર સુધીમાં વધારો
વન વિભાગના જણાવ્યા મુજબ વર્ષ 2023માં ગુજરાતમાં 2,294 દીપડા નોંધાયા હતા, જ્યારે હાલની અંદાજિત સંખ્યા આશરે 2,600 સુધી પહોંચી હોવાનું માનવામાં આવે છે. એટલે કે છેલ્લા થોડા વર્ષોમાં રાજ્યમાં દીપડાની વસતિમાં વધારો થયો હોવાનું અનુમાન છે.
દીપડો દેખાય તો શું કરવું?
વન વિભાગે નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. જો કોઈ વિસ્તારમાં દીપડો દેખાય તો તેની નજીક જવાનો અથવા તેને ભગાડવાનો પ્રયાસ ન કરવો. ભીડ એકત્રિત ન કરવી અને તરત જ નજીકના વન વિભાગ અથવા પોલીસને જાણ કરવી. સોશિયલ મીડિયામાં ચકાસણી વગરના વીડિયો અથવા મેસેજ શેર કરવાથી પણ બચવું.
ગુજરાતમાં દીપડાની સ્થિતિ શું કહે છે?
ગુજરાતમાં એશિયાટિક સિંહોની સાથે હવે દીપડાની વસતિ પણ સતત વધતી જોવા મળી રહી છે. એક તરફ રાજકોટ, સાબરકાંઠા અને છોટાઉદેપુર જેવા જિલ્લાઓ દીપડાના મુખ્ય આવાસ બની રહ્યા છે, જ્યારે બીજી તરફ અમદાવાદ જેવા શહેરી વિસ્તારોમાં ક્યારેક થતી એન્ટ્રી માનવ-વન્યજીવ સંઘર્ષનું નવું પડકારરૂપ ચિત્ર રજૂ કરે છે. આવી સ્થિતિમાં વન વિભાગની ઝડપી કામગીરી અને નાગરિકોની સતર્કતા બંને સમાન રીતે મહત્વપૂર્ણ બની જાય છે.






