Home Gujarat Ahmedabad Ahmedabad Ghuma Leopard Spotted Vip Road Cctv Forest Department Search Operation

અમદાવાદમાં દીપડાની દસ્તકથી દહેશત! : શહેરના પોશ વિસ્તારની સોસાયટીમાં ઘૂસ્યો દીપડો, CCTV સામે આવતા સ્થાનિકોમાં ફફડાટ

Ahmedabad Ghuma Leopard
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Jul 20, 2026, 04:56 AM IST

Ahmedabad Ghuma Leopard: અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઘુમા પંથકમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના પોશ ગણાતા આ વિસ્તારમાં મોડી રાત્રે દીપડો દેખાતા સ્થાનિક રહીશોમાં ભારે ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે. સામાન્ય રીતે જંગલ અથવા ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતો દીપડો હવે શહેરના રહેણાંક વિસ્તારમાં જોવા મળતા સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. ઘટનાનો વીડિયો નજીકની સોસાયટીના CCTV કેમેરામાં કેદ થયો હોવાનું સામે આવ્યું છે, જેના આધારે વન વિભાગે તપાસ અને શોધખોળ શરૂ કરી છે. ઘટના બાદ સમગ્ર બોપલ-ઘુમા વિસ્તારની અનેક સોસાયટીઓમાં ચેતવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ બાળકો અને વૃદ્ધોને એકલા બહાર ન જવા તેમજ રાત્રિના સમયે ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. વન વિભાગ તેમજ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમ સતત વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે અને દીપડાની હિલચાલ પર નજર રાખી રહી છે.

VIP રોડ પર રાત્રે 2 વાગ્યે CCTVમાં કેદ થયો દીપડો

મળતી માહિતી અનુસાર, ઘુમા વિસ્તારમાં આવેલા VIP રોડ પર રાત્રિના અંદાજે 2 વાગ્યાની આસપાસ એક પૂર્ણવયસ્ક દીપડો રસ્તા પર લટાર મારતો જોવા મળ્યો હતો. રસ્તા પાસેથી પસાર થતા આ દીપડાની સમગ્ર હિલચાલ નજીક આવેલી સોસાયટીના CCTV કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે. CCTV ફૂટેજમાં દીપડો નિર્ભય રીતે રસ્તા પર ચાલતો જોવા મળે છે. આ દૃશ્યો સામે આવ્યા બાદ સ્થાનિક સિક્યુરિટી ગાર્ડ્સ અને રહીશોમાં ચિંતા વધી ગઈ હતી. રાત્રિના સમયે રહેણાંક વિસ્તાર સુધી દીપડો પહોંચી જતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

આ પણ વાંચો: બાળકીનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારનારનું દુષ્કર્મીનું એન્કાઉન્ટર : આરોપીએ હુમલો કરતા સેલ્ફ ડિફેન્સમાં પોલીસે કર્યું ફાયરિંગ

શરણદીપ સોસાયટી નજીક દેખાયો દીપડો

પ્રાથમિક માહિતી મુજબ દીપડો ઘુમા ગામ નજીક આવેલી શરણદીપ સોસાયટી આસપાસ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં સોસાયટીના રહીશોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી અને CCTV ફૂટેજના આધારે દીપડાની હિલચાલનું વિશ્લેષણ શરૂ કર્યું છે. વન વિભાગે સંભવિત રૂટની ઓળખ કરી આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જરૂર પડે તો પાંજરાં ગોઠવવાની અને ટ્રેન્ક્યુલાઇઝરની મદદથી દીપડાને સુરક્ષિત રીતે પકડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

વન વિભાગ અને કાંકરિયા ઝૂની ટીમ મેદાનમાં

દીપડાની હાજરીની માહિતી મળતાં જ વન વિભાગની વિશેષ ટીમ તેમજ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના નિષ્ણાતોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. બંને વિભાગો સંયુક્ત રીતે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. અધિકારીઓ દ્વારા દીપડાના સંભવિત આવાગમનના માર્ગોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આસપાસના ખુલ્લા પ્લોટ, ઝાડીવાળા વિસ્તારો અને ફાર્મહાઉસોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ રાત્રિના સમયે વધારાનું પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવ્યું છે.

મેયર હિતેશ બારોટનું નિવેદન

અમદાવાદના મેયર હિતેશ બારોટે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, ઘુમા ગામ નજીક દીપડો દેખાયો હોવાની માહિતી સ્થાનિક રહીશો તરફથી મળી હતી. ત્યારબાદ વન વિભાગ અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, હાલમાં બંને વિભાગોની ટીમ સંયુક્ત રીતે દીપડાને શોધી સુરક્ષિત રીતે પકડવા માટે કામગીરી કરી રહી છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ : 25 જુલાઈએ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં વરસશે મેઘો?

સ્થાનિકોને સાવચેતી રાખવા અપીલ

વન વિભાગે ઘુમા, બોપલ અને આસપાસના વિસ્તારોના રહીશોને રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. ખાસ કરીને નાના બાળકોને એકલા બહાર મોકલવા નહીં, વહેલી સવારે અથવા મોડી રાત્રે વોકિંગ ટાળવું અને કોઈપણ શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ વન વિભાગ અથવા સ્થાનિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.લ અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની પણ અપીલ કરી છે. હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે અને દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

શહેરમાં વન્યજીવોની વધતી હાજરી ચિંતાનો વિષય

છેલ્લાં કેટલાક વર્ષોમાં અમદાવાદ શહેરની સીમા સાથે જોડાયેલા વિસ્તારોમાં શહેરી વિસ્તરણ ઝડપથી વધ્યું છે. બોપલ, ઘુમા, શિલજ, શેલા અને આસપાસના વિસ્તારોમાં રહેણાંક યોજનાઓ વધતા કુદરતી આવાસ અને વન્યજીવોના માર્ગોમાં પરિવર્તન આવ્યું છે. નિષ્ણાતોના મતે ખોરાકની શોધ, રહેઠાણમાં ઘટાડો અથવા કુદરતી કોરિડોરમાં અવરોધ જેવા કારણોસર દીપડા સહિતના વન્યજીવો માનવ વસાહતો તરફ આવી જતા હોય છે.

વન વિભાગે હાલ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ સતત મોનિટરિંગ શરૂ કર્યું છે. આગામી દિવસોમાં દીપડાની હિલચાલ અંગે વધુ માહિતી મળતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now