ગુજરાત સરકાર દ્વારા આજે વિધાનસભામાં લગ્ન નોંધણીના કાયદામાં મહત્વપૂર્ણ સુધારા અંગેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવશે તેવી માહિતી મળી છે. છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને પાટીદાર સમાજ સહિત વિવિધ સામાજિક સંગઠનો દ્વારા ‘ભાગેડુ લગ્ન’ તરીકે ઓળખાતા કિસ્સાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. પ્રેમ સંબંધોના આધારે વાલીની સંમતિ વગર થતા લગ્નોમાં ક્યારેક છેતરપિંડી, ખોટી ઓળખ અથવા દબાણ જેવી ઘટનાઓ સામે આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેના કારણે કાયદામાં ફેરફાર કરવાની માંગ ઉઠી હતી.
'ભાગેડુ લગ્ન'ની સમસ્યાનો આવશે અંત!
પાટીદાર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, સુધારા સામાન્ય અને કાયદેસર રીતે થતા લગ્નોને અસર કરશે નહીં. સરકારનો હેતુ માત્ર લગ્નના નામે થતી છેતરપિંડી અને ગેરરીતિઓને અટકાવવાનો છે. નવા પ્રસ્તાવિત નિયમો મુજબ લગ્ન નોંધણી પ્રક્રિયામાં વાલીઓની સંમતિ સંબંધિત જોગવાઈઓ અને કેટલીક પ્રક્રિયાત્મક શરતો ફરજિયાત બનાવવામાં આવી શકે છે. સાથે સાથે દસ્તાવેજોની વધુ કડક ચકાસણી અને નોંધણી અધિકારીઓને વધારાની સત્તાઓ આપવાના મુદ્દાઓ પર પણ વિચારણા થઈ રહી છે.
સરકાર લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરશે?
સરકાર દ્વારા બહાર પાડવામાં આવનારા નોટિફિકેશન અંગે એક મહિના સુધી જનતા પાસેથી સૂચનો અને વાંધાઓ મંગાવવામાં આવશે. પ્રાપ્ત થયેલા સૂચનોના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ પગલાને પાટીદાર સમાજ અને અન્ય સંગઠનો તેમની લાંબા સમયથી ચાલતી લડતનો મહત્વપૂર્ણ વિજય ગણાવી રહ્યા છે. રાજ્ય સરકારનો દાવો છે કે, આ સુધારા સમાજમાં પારદર્શિતા, સુરક્ષા અને વિશ્વાસ વધારવામાં સહાયક બનશે.




















