ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે કંડકટરની પોસ્ટ માટે 2,320 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિધ્ધ કરી હતી, જેમાં 35,221 ઉમેદવારોએ ઓ.એમ.આરની લેખિત પરીક્ષા આપી હતી, જે લેખિત પરીક્ષાનું પરિણામ નિગમની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં પાસ થયેલા 3,518 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે તા.૨૫ માર્ચથી તા.૦૫ એપ્રિલ ૨૦૨૫ સુધી તાલીમ સેન્ટર, મધ્યસ્થ યંત્રાલય, નરોડા, અમદાવાદ ખાતે અસલ દસ્તાવેજો સહિત હાજર રહેવાનું છે. આ અંગેની જાણકારી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમે આપી છે.
યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, દસ્તાવેજ ચકાસણી માટે દૈનિક 4૦૦ ઉમેદવારોને બોલાવવામાં આવશે, તેમજ ચકાસણીની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરીયાત મુજબની ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમેદવારોની યાદી, ચેકલીસ્ટ તથા જરૂરી સુચનાઓ નિગમની વેબસાઇટ https://gsrtc.in પર પ્રસિદ્ધ કરવામાં આવી છે તેમજ આ અંગેના કોલલેટર ડાઉનલોડ કરવા માટેની સુચનાઓ પણ તારીખ 19 માર્ચ 2025ના રોજ આપવામાં આવી હતી.




















