આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે પોતાને સ્થાપિત કરવા માટે સક્રિય થઈ છે. પાર્ટીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી કરવા ઈચ્છુક વ્યક્તિઓ માટે ફોર્મ બહાર પાડ્યું છે.
AAPના સંગઠન મંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું કે પાર્ટી ગુજરાતમાં 10,000થી વધુ બેઠકો પર ચૂંટણી લડશે. તેમણે સેવા કરવા ઈચ્છતા યુવાનો, સામાજિક અને રાજકીય આગેવાનોને પાર્ટી સાથે જોડાવા માટે આહવાન કર્યું છે. ઉમેદવારી ફોર્મ ઓનલાઈન અથવા જિલ્લા સ્તરે જમા કરાવી શકાશે, જેમાંથી ચકાસણી બાદ યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
'રોજગાર બચાવવા માટે જીવ આપવો પડે છે': ઈશુદાન ગઢવી
અમદાવાદના જશોદા નગરમાં એક મહિલાએ રોજગાર બચાવવા માટે કરેલા આત્મવિલોપનના બનાવને દુઃખદ ગણાવતા AAPના પ્રમુખ ઈશુદાન ગઢવીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં રોજગારી બચાવવા માટે લોકોને જીવ આપવો પડે છે, અને આ ઘટના લાખો મહિલાઓ માટે એક અરીસા સમાન છે.
તેમણે આક્ષેપ કર્યો કે લાંચ આપવા છતાં લોકોની દુકાનો તોડી પાડવામાં આવી રહી છે. ગઢવીએ ભાજપના શાસન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ગુજરાત મોડેલ કેવું છે જ્યાં મહિલાઓને આત્મવિલોપન કરવું પડે? તેમણે રાજ્યના વધતા દેવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી.






