સરકારે 30 સપ્ટેમ્બર સુધી કાચા કપાસની ડ્યુટી ફ્રી આયાતની છૂટ આપી છે. કાપડ ક્ષેત્ર માટે મુખ્ય કાચા માલ, કપાસની બજારમાં ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકારે આ પગલું ભર્યું છે. અત્યાર સુધી કપાસ પર 11 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટીની સાથે એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) પણ વસૂલવામાં આવતો હતો.
નાણા મંત્રાલયની 18 ઓગસ્ટની સૂચના અનુસાર, ડ્યુટી મુક્તિ 19 ઓગસ્ટથી લાગુ થશે અને 30 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.
આયાત ડ્યુટી નાબૂદ કરવાથી કાપડ ક્ષેત્ર માટે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક દરે કાચા માલની ઉપલબ્ધતા સુનિશ્ચિત થવાની અપેક્ષા છે.
ભારત દ્વારા કપાસની આયાત પર ડ્યૂટીમાં રાહત એવા સમયે આવી છે જ્યારે ટેક્સટાઇલ સેક્ટર સહિત ભારતીય નિકાસકારો યુએસમાં 50 ટકાના ભારે ડ્યૂટી દરનો સામનો કરી રહ્યા છે. યુએસ ટેરિફમાં હાલની 25 ટકા ડ્યુટી અને વધારાની 25 ટકા ડ્યુટીનો સમાવેશ થાય છે, જે 27 ઓગસ્ટથી અમલમાં આવશે. આ ડ્યુટી ભારત દ્વારા રશિયન તેલની ખરીદી પર દંડ તરીકે લાદવામાં આવી છે.





















