Gandhinagar News: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ નાગરિકોને પીવાના પાણી અને ખેડૂતોને સિંચાઈ માટે કોઈ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારે અત્યારથી જ કમર કસી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના જળ સંસાધનોની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં રાજ્યના જળાશયોની સ્થિતિ સંતોષજનક હોવાનું સામે આવ્યું છે.
ગયા વર્ષ કરતાં વધુ પાણીનો સંગ્રહ
કેબિનેટ બેઠક બાદ પત્રકારોને સંબોધતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસું મહેરબાન રહેતા રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની સ્થિતિ ઘણી સારી છે. રાજ્યના જળાશયોમાં હાલ ૬.૪૬ લાખ MCFT પાણી ઉપલબ્ધ છે. કુલ સંગ્રહ શક્તિના 72 ટકાથી વધુ પાણીનો જથ્થો મોજૂદ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીના જથ્થામાં 4.15 ટકાનો વધારો જોવા મળ્યો છે.
નર્મદા ડેમ: ગુજરાતની 'વોટર બેંક'
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ઉનાળા માટે આશાસ્પદ છે. મંત્રીના જણાવ્યા મુજબ સરદાર સરોવર ડેમમાં હાલ 74 ટકાથી વધુ એટલે કે અંદાજે 2.47 લાખ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, જે આગામી ઉનાળા દરમિયાન પીવા અને સિંચાઈની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતો છે.
ઝોન મુજબ પાણીની ઉપલબ્ધતા (MCFT માં)
રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પાણીના સંગ્રહની વિગતો નીચે મુજબ છે...
વિસ્તાર | પાણીનો જથ્થો (MCFT) |
દક્ષિણ ગુજરાત | 2.34 લાખથી વધુ |
મધ્ય ગુજરાત | 65,179 |
સૌરાષ્ટ્ર | 53,621 |
ઉત્તર ગુજરાત | 41,842 |
કચ્છ | 4,392 |
સરકારનું આગોતરું આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ સૂચના આપી છે કે છેવાડાના ગામડાઓ સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવે અને સિંચાઈ માટે પણ વ્યવસ્થિત નેટવર્ક જળવાઈ રહે. રાજ્ય સરકારના આ આગોતરા આયોજનને કારણે ચાલુ વર્ષે ઉનાળામાં પાણીની અછત વર્તાશે નહીં તેવી ખાતરી પ્રવક્તા મંત્રીએ આપી છે.




















