રાજ્યના ખેડુતો માટે રાહતના સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રી દ્વારા ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, ખેડૂતોને નુકસાનમાંથી ઉતારવા માટે ઝડપી પગલાંમાં સહાય પેકેજ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ટૂંક સમયમાં જાહેર થશે સહાય પેકેજ
ખેડૂતો પરિશ્રમ કર્યા બાદ ખેતીના નુકસાનથી પડેલા આર્થિક દબાણમાં હતા. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, આ સહાય પેકેજ નુકસાનમાં સહાયરૂપ થશે અને ખેડૂતોને ઝડપી રાહત મળશે. ટ્વીટમાં મુખ્યમંત્રીએ ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો કે, રાજ્ય સરકારે તેમના માટે સંપૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને સહાય પેકેજ ટૂંક સમયમાં જાહેર થશે.
''મંત્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છું''
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ''રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે, રાજ્યના મંત્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે. તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. હું સતત આ સંદર્ભે મંત્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છું.
''ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને...''
વધુમાં લખ્યું કે, ''ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજ જાહેર કરશે''.






