ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ખુશખબર
4.78 લાખ કર્મચારીઓ, 4.81 લાખ પેન્શનર્સને લાભ
ગુજરાત સરકારના 9 લાખથી વધુ કર્મચારીઓને લાભ
મોંઘવારી ભથ્થામાં ચાલુ વર્ષથી કેન્દ્રના ધોરણે વધારો
પેન્શનર્સને પણ મળશે સરકારના નિર્ણયનો લાભ
રાજ્યની કેબિનેટમાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
Government Employee: રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૫ થી કેન્દ્રના ધોરણે વધારો જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્યની કેબિનેટની બેઠકમાં સરકારી કર્મચારીઓના હિતમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ૪.૭૮ લાખ કર્મચારીઓ અને ૪.૮૧ લાખ પેન્શનર્સને પણ આ નિર્ણયથી સીધો લાભ થશે. મોંઘવારી ભથ્થામાં વધારાની ૩ માસની તફાવત રકમ-એરિયર્સ એક જ હપ્તામાં એપ્રિલ-૨૦૨૫ના પગાર સાથે ચૂકવવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં લેવામાં આવેલા આ કર્મયોગી હિતકારી નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૬ ટકાનો વધારો કરવામાં આવેલ છે.
પ્રવક્તા મંત્રીએ જણાવ્યુ કે, આ મોંઘવારી ભથ્થાની ૩ માસની એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૫ થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ-૨૦૨૫ના પગાર સાથે ચૂકવવામાં આવશે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ૪.૭૮ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૮૧ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.
એટલું જ નહિ, રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ.૨૩૫ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂ.૯૪૬ કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે થશે તેમ પણ પ્રવક્તામંત્રીએ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠકે કરેલા આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે તેમ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ.






