Home Gujarat Gondal Parents Arrested Son Murder Government Job Dispute

ગોંડલમાં માતા-પિતાએ જ કરી 23 વર્ષીય પુત્રની હત્યા : સરકારી નોકરીની તૈયારી કરતા યુવકની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો

In Gondal, parents reveal the murder of their son
Published by: Vaishnavi Pathak
Last Updated: Jul 03, 2026, 08:52 AM IST

ગોંડલમાં સરકારી નોકરીની તૈયારી કરતા યુવકની માતા-પિતાએ જ કરી હત્યા

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં 23 વર્ષીય યુવકના રહસ્યમય મોતના કેસમાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં આ ઘટનાને આપઘાત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસમાં સામે આવ્યું કે યુવકની હત્યા તેના સગા માતા-પિતાએ જ કરી હતી. મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.

ઝઘડો વધતાં માતાએ એસિડ પીવડાવ્યું, પિતાએ ગળું દબાવ્યું

પોલીસ તપાસ મુજબ મૃતક યુવક રામ બાંભવા અને તેના માતા-પિતા વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલતા હતા. 30 Juneના રોજ પણ બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આરોપ છે કે ઝઘડો વધતાં માતાએ પુત્રને બળજબરીથી એસિડ પીવડાવ્યું, જ્યારે પિતાએ માર માર્યા બાદ ગળું દબાવી તેની હત્યા કરી હતી. ત્યારબાદ ઘટનાને આત્મહત્યા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આપઘાતનો દેખાવ ઊભો કરવાનો પ્રયાસ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ઘટનાને આપઘાતમાં ખપાવવા માટે વિવિધ પ્રયાસો કર્યા હતા. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે પણ ભલામણ કરાવવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જોકે, પોલીસની સઘન તપાસમાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો.

સરકારી નોકરીની તૈયારી કરતો હતો યુવક

માહિતી મુજબ મૃતક રામે એગ્રીકલ્ચરમાં સ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને સરકારી નોકરી મેળવવા માટે તૈયારી કરી રહ્યો હતો. બીજી તરફ તેના પિતા ઇચ્છતા હતા કે રામ તેમની ચાની દુકાન પર કામ કરે. આ મુદ્દે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ મતભેદો જ હત્યાનું મુખ્ય કારણ બની શકે છે. જોકે સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો: પંચમહાલના શહેરા અને ગોધરા પંથકમાં વરસાદી માહોલ | ખેડૂતોમાં ખુશીની લાગણી | Offbeat Stories

પત્નીની ફરિયાદ બાદ બંને આરોપીઓ ઝડપાયા

મૃતકના લગ્નને હજુ માત્ર 4 મહિના જ થયા હતા. તેની પત્ની બંશીબેન બાંભવાએ પોતાના સાસુ-સસરા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે BNSની કલમ 103(1), 124 અને 54 હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ હવે કેસમાં વધુ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી કરી રહી છે.

ગામમાં શોક અને ચકચાર

ગુંદાળા ગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. પોતાના જ માતા-પિતા દ્વારા પુત્રની હત્યા કરવામાં આવી હોવાના ખુલાસાથી સ્થાનિક લોકો પણ સ્તબ્ધ થઈ ગયા છે. પોલીસ કેસની વધુ તપાસ કરી રહી છે અને તમામ પાસાઓની તપાસ બાદ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now