ગોધરા: ગોધરા રેલવે સ્ટેશન પર નવી સુવિધાઓના લોકાર્પણના થોડા જ કલાકોમાં એક ગંભીર ઘટના સામે આવી છે. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-5 પર આવેલી લિફ્ટ અચાનક ખોટકાઈ જતાં તેની અંદર છ લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અંદાજે અડધા કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ તમામ છ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, લિફ્ટમાં ફસાયેલા લોકોએ લગભગ એક કલાક જેટલો સમય અંદર વિતાવ્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે, ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન અંદાજે 30 મિનિટ સુધી ચાલ્યું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના અહેવાલ સામે આવ્યા નથી.
આ પણ વાંચો: વડોદરાના સાવલીમાં ખેતરમાં મળી આવ્યો વૃદ્ધનો મૃતદેહ : હવે પોસ્ટમોર્ટમ બાદ થશે મોતનું અસલી રહસ્ય ઉજાગર
112 પર કોલ મળતાં જ ફાયર બ્રિગેડ દોડી આવી
ગોધરા ફાયર બ્રિગેડના ફાયરમેન મુકેશ આહિરે જણાવ્યું હતું કે 112 ઇમરજન્સી સેવા મારફતે કોલ મળતા જ મિની ફાયર ફાઇટર ટીમને તાત્કાલિક ગોધરા રેલવે સ્ટેશન મોકલવામાં આવી હતી. સ્થળ પર પહોંચતા પ્લેટફોર્મ નંબર-5 પર આવેલી લિફ્ટમાં છ લોકો ફસાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.
ફાયર બ્રિગેડની ટીમે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ વિશેષ કટર મશીનની મદદથી લિફ્ટનો દરવાજો ખોલ્યો અને એક પછી એક તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. બચાવ કામગીરી દરમિયાન આસપાસ લોકોના ટોળા પણ એકત્ર થયા હતા.
આ પણ વાંચો: વડોદરાની ગતિશક્તિ વિશ્વવિદ્યાલયનો ચોથો દીક્ષાંત સમારોહ યોજાયો : 121 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત; 'મેટ્રો મેન' ઈ. શ્રીધરનને પ્રથમ માનદ પીએચ.ડી.
લોકાર્પણ બાદ જ ટેકનિકલ ખામી સામે આવતા ઉઠ્યા પ્રશ્નો
ઘટના એવા સમયે બની છે જ્યારે રેલવે સ્ટેશન પર નવી સુવિધાઓનું તાજેતરમાં જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણના થોડા જ કલાકોમાં લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોમાં ચિંતા જોવા મળી હતી.
આ ઘટનાએ નવી શરૂ કરાયેલી સુવિધાઓની ગુણવત્તા, ટેકનિકલ ચકાસણી અને સલામતી ધોરણોને લઈને પણ પ્રશ્નો ઊભા કર્યા છે. મુસાફરોનું કહેવું છે કે જાહેર ઉપયોગ માટે કોઈપણ સુવિધા શરૂ કરતા પહેલાં તેની સંપૂર્ણ તકનીકી ચકાસણી અને ટ્રાયલ ફરજિયાત હોવા જોઈએ.
આ પણ વાંચો: વડોદરાના સાવલીમાં ખેતરમાં મળી આવ્યો વૃદ્ધનો મૃતદેહ : હવે પોસ્ટમોર્ટમ બાદ થશે મોતનું અસલી રહસ્ય ઉજાગર
તપાસ બાદ જ ખામીનું કારણ થશે સ્પષ્ટ
પ્રાથમિક તબક્કે લિફ્ટ શા માટે બંધ પડી હતી તે અંગે કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. રેલવેના સંબંધિત વિભાગ દ્વારા ટેકનિકલ તપાસ બાદ જ ખામીનું ચોક્કસ કારણ સામે આવશે.
રેલવે તંત્ર તરફથી હજુ સુધી આ ઘટનાને લઈને સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી તકનીકી સુધારાઓ કરવામાં આવે તેવી શક્યતા છે.






