પંચમહાલ જિલ્લામાં ગોધરા નજીક સંતરોડ-ચંચેલાવ વિસ્તારમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ મુખ્ય રેલમાર્ગ પર એક વિચિત્ર ઘટના સામે આવી છે. રેલવેના ઓવરહેડ ઈલેક્ટ્રિક (OHE) કેબલ સાથે અથડાતા એક ઢેલને વીજ કરંટ લાગતા તેનું સ્થળ પર જ મોત થયું હતું.
ઓવરહેડ કેબલ સાથે અથડાઇ ઢેલ
મળતી માહિતી મુજબ, ઢેલ રેલવે ટ્રેક નજીક આવતા ઓવરહેડ કેબલ સાથે અથડાયો હતો, જેના કારણે તાત્કાલિક ભડકો થયો હતો. આ ભડકાના કારણે OHE વીજપોલમાં કરંટનો પ્રભાવ નીચે સુધી ઉતર્યો હતો, જેના પરિણામે ત્યાં ખાડો પડી ગયો અને વીજપોલ નમ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ રેલવે તંત્રના અધિકારીઓ સાથે DySP સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટનાને પગલે થોડા સમય માટે દિલ્હી-મુંબઈ મુખ્ય રેલવે લાઇન પર ટ્રેનોની અવરજવર પ્રભાવિત થઈ હતી, જેના કારણે મુસાફરોને પણ તકલીફનો સામનો કરવો પડ્યો હતો.
રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી. સદનસીબે કોઈ મોટી તકનિકી ખામી સામે આવી ન હતી, જેના કારણે થોડા સમય બાદ રેલ વ્યવહાર ફરી પૂર્વવત શરૂ કરવામાં આવ્યો હતો. આ માર્ગ દેશનો મહત્વપૂર્ણ રેલમાર્ગ હોવાથી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી.
આ પણ વાંચો: 12 બોર, 4 ટાંકી છતાં 5 દિવસથી પાણી વગર તરસ્યું ગામ! : 'હાય રે સરપંચ હાય હાય'ના નારા સાથે ટેન્કરમાંથી મરેલો ઉંદર નીકળતા ગ્રામજનોએ કાઢી અંતિમ યાત્રા!
પોલીસ દ્વારા મૃત્યુ પામેલી ઢેલને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ રેલવે સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉભા કર્યા છે.





