છેલ્લા કેટલાક સમયથી સતત માર્ગ અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક માર્ગ અક્સ્માત વેરાવળ-કોડીનાર રોડ પર સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-કોડીનાર રોડ પર પ્રાંસલી ગામ નજીક રાત્રિના અંદાજે 11 વાગ્યે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિત અનુસાર, વણાકબારા તરફથી મચ્છી ભરી વેરાવળ GIDC ખાસે આવેલ વનિતા કોલ્ડ સ્ટોરેજ નામની ફિશ કંપનીમાં મચ્છી સ્પલાય કરવા જઈ રહેલી આઈસર ગાડી(નં: GJ-32-T-4405)માં પ્રાંસલી નજીક પંચર પડતાં ચાલક સેન મહમદ મલેક (રહે. ગરીબ નવાજ કોલોની, વેરાવળ) ગાડી સાઈડમાં રાખી પંચર બનાવી રહ્યો હતો.
મદદ કરવા ઊભેલી બીજી આઇસર અને ભયંકર અથડામણ
આ દરમિયાન એ જ કંપનીની બીજી આઇસર (નં. GJ-14-BT-9972) પસાર થઈ રહી હતી, તેના ચાલક રફિક ચાંદભાઈ ભાદરકા પંચર જોયા બાદ મદદ માટે ઊભા રહ્યા. બંને ચાલકો સાથે મળીને ગોપાલભાઈ નામના વ્યક્તિ પંચર બનાવવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી માછલી ભરેલી બોલેરો પિકઅપ (નં. GJ-32-T-8057)એ ગફલત કરીને આઇસર સાથે જોરદાર અથડામણ કરી હતી. આ ભીષણ અથડામણના કારણે ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

મૃતકો અને ઈજાગ્રસ્તની વિગતો
અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં બોલેરોના ચાલક રાજુભાઈ બાલુભાઈ પરમાર (ઉં. 27, રહે. નાથડ ગામ), આઇસર ચાલક હુસેન મહમદ મલેક (ઉં. 51) અને મદદ કરવા ઊભેલા રફિક ચાંદભાઈ ભાદરકાનો સમાવેશ થાય છે. જ્યારે ગોપાલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસની કાર્યવાહી અને તપાસ
ઘટનાની જાણ થતાં જ સુત્રાપાડા પોલીસ સ્ટેશનના સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. બોલેરો ચાલકની ગફલતને કારણે આ દુર્ઘટના થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ભયાનક અકસ્માતને કારણે વેરાવળ-કોડીનાર રોડ પર થોડા સમય માટે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. બીજી તરફ ગંભીર અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.





















