Home Gujarat Gir Famous Lions Jai Veeru Backlit Memorial Board Sasan Gir Parimal Nathwani

ગીરના ગૌરવ 'જય-વીરુ'ને સલામ : પરિમલ નથવાણીની પહેલથી સાસણ ગીરમાં જીવંત રહેશે યાદો

અનોખી શ્રદ્ધાંજલિનાં દ્રશ્યો
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jul 07, 2026, 07:04 AM IST

ગીરના જંગલમાં વર્ષો સુધી પોતાના શૌર્ય, અતૂટ મિત્રતા અને ભવ્ય ઉપસ્થિતિ માટે જાણીતી બનેલી સિંહ બેલડી ‘જય-વીરુ’ને અનોખી અને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ અને જાણીતા સિંહપ્રેમી પરિમલ નથવાણીએ સાસણ ગીરના સિંહસદન અને દેવાળીયા સફારી પાર્ક ખાતે 'જય-વીરુ'ને સમર્પિત બેકલાઇટ સ્મારક બોર્ડનું અનાવરણ કર્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ ગીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને વન્યજીવન પ્રેમીઓને આ ઐતિહાસિક સિંહ જોડીના જીવન અને વારસાથી પરિચિત કરાવવાનો છે. આ પ્રસંગે વન સંરક્ષક (વાઇલ્ડલાઇફ સર્કલ, જૂનાગઢ) રામ રતન નાલા સહિત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન 'જય-વીરુ'ના જીવન, તેમની અનોખી મિત્રતા અને ગીરના જંગલમાં તેમના પ્રભાવને યાદ કરવામાં આવ્યો હતો.

ગીરના ગૌરવને જીવંત રાખવાનો પ્રયાસ

બેકલાઇટ બોર્ડના અનાવરણ બાદ પરિમલ નથવાણીએ જણાવ્યું કે 'જય-વીરુ' માત્ર બે સિંહ નહોતા, પરંતુ ગીરની ઓળખ અને ગૌરવનું પ્રતિક હતા. ગીરની મુલાકાતે આવતા હજારો પ્રવાસીઓએ વર્ષો સુધી આ બંને સિંહોને નિહાળ્યા હતા અને તેમની બહાદુરી તથા અવિભાજ્ય સાથને નજીકથી અનુભવ્યો હતો. તેમણે કહ્યું કે આ સ્મારક દ્વારા નવી પેઢી અને દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને ‘જય-વીરુ’ની ગાથા જાણવા મળશે. ગીરના ઇતિહાસમાં તેમની ઓળખ હંમેશા જીવંત રહે તે માટે આ પહેલ કરવામાં આવી છે.

નામકરણ સાથે પણ જોડાયેલી છે લાગણી

પરિમલ નથવાણીએ આ પ્રસંગે જણાવ્યું કે 'જય-વીરુ' નામકરણ સાથે તેમની વ્યક્તિગત લાગણી પણ જોડાયેલી છે. વન વિભાગના અધિકારીઓ સાથે મળીને તેમણે આ બંને સિંહોને 'જય' અને 'વીરુ' નામ આપવાની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ કારણે આ સિંહ બેલડી સાથે તેમનો વિશેષ ભાવનાત્મક સંબંધ રહ્યો હતો. તેમના જણાવ્યા મુજબ ગીરના જંગલમાં આ બંને સિંહોએ જે સ્થાન મેળવ્યું હતું તે અત્યંત વિશિષ્ટ હતું અને તેમની યાદને ચિરંજીવ રાખવી જરૂરી હતી.

આ પણ વાંચો: સિંહો કેમ બની રહ્યા છે આક્રમક? : માણસો પર વધી રહેલા હુમલાઓ પાછળનું મોટું કારણ જાણો

શોલેના પાત્રો જેવી અતૂટ મિત્રતા

ગીરના 'જય-વીરુ'નું નામ બોલિવૂડની સુપરહિટ ફિલ્મ 'શોલે'ના લોકપ્રિય પાત્રોથી પ્રેરિત હતું. જેમ ફિલ્મમાં જય અને વીરુની મિત્રતા સમગ્ર દેશમાં પ્રસિદ્ધ બની હતી, તેવી જ રીતે ગીરના આ બંને સિંહોની જોડી પણ વન્યજીવન પ્રેમીઓમાં અત્યંત લોકપ્રિય બની હતી. વન્યજીવન નિરીક્ષકો અને અનુભવી ટ્રેકર્સના જણાવ્યા મુજબ બંને સિંહો મોટાભાગે સાથે જ જોવા મળતા હતા. શિકાર હોય કે પોતાના વિસ્તારની સુરક્ષા, બંને હંમેશાં એકબીજાનો સાથ આપતા હતા. ક્યારેક નાના મતભેદ થયા હોવા છતાં તેમનો સંબંધ ક્યારેય નબળો પડ્યો નહોતો.

ગીરના વિશાળ વિસ્તારમાં જમાવ્યો હતો દબદબો

'જય-વીરુ'એ વર્ષો સુધી ગીરના માલણકા, કેનેડીપુર, નતાડિયા, ઇટાડી અને લિમદ્રા સહિતના વિસ્તારોમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. આ વિસ્તાર ગીરના મહત્વના સિંહ આવાસોમાં ગણાય છે અને અહીં અનેક વખત પ્રવાસીઓએ બંનેને સાથે નિહાળ્યા હતા. તેમની બહાદુરી, શિકાર કરવાની ક્ષમતા અને વિસ્તાર પરના નિયંત્રણને કારણે તેઓ ગીરના સૌથી પ્રભાવશાળી સિંહોમાં ગણાતા હતા. ફોટોગ્રાફરો અને વાઇલ્ડલાઇફ ડોક્યુમેન્ટરી નિર્માતાઓ માટે પણ 'જય-વીરુ' હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો : 38 દોષિતોની ફાંસીની સજા યથાવત, હાઈકોર્ટે આપી મંજૂરી

સીમા સંઘર્ષમાં થયું હતું દુઃખદ અવસાન

ગયા વર્ષે અન્ય સિંહો સાથે વિસ્તારની સીમા અંગે થયેલી અથડામણમાં ‘જય-વીરુ’નું દુઃખદ અવસાન થયું હતું. તેમના મૃત્યુના સમાચાર સમગ્ર ગુજરાત સહિત દેશના વન્યજીવન પ્રેમીઓ માટે આઘાતજનક રહ્યા હતા. 7 ઓગસ્ટ, 2025ના રોજ બંને સિંહોના નિધન બાદ સોશિયલ મીડિયા પર હજારો લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગીર સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા લોકો માટે આ ઘટના અત્યંત દુઃખદ માનવામાં આવી હતી.

ગીત અને ડોક્યુમેન્ટરી દ્વારા પણ અપાઈ હતી શ્રદ્ધાંજલિ

'જય-વીરુ'ના અવસાન બાદ પરિમલ નથવાણીએ તેમની યાદમાં 'જય-વીરુની જોડી' નામનું લોકશૈલીનું ભાવનાત્મક ગીત રજૂ કર્યું હતું. ત્યારબાદ 'જય-વીરુની અમર ગાથા' નામની દસ્તાવેજી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી. આ બંને કૃતિઓમાં ગીરના જંગલમાં બંને સિંહોની સફર, તેમની મિત્રતા, શિકાર, સંઘર્ષ અને વારસાને જીવંત રીતે રજૂ કરવામાં આવ્યા હતા. વન્યજીવન પ્રેમીઓએ આ પ્રયાસોને ખૂબ સરાહ્યા હતા.

ગીરના વારસાને સાચવવાની જરૂર

વન્યજીવન નિષ્ણાતોનું માનવું છે કે ગીર માત્ર એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન જ નથી, પરંતુ અહીંના દરેક જાણીતા સિંહની પોતાની આગવી ઓળખ અને ઇતિહાસ છે. આવા સિંહોના જીવનને દસ્તાવેજી સ્વરૂપે સાચવવાથી વન્યજીવન સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ વધે છે. સાસણ ગીર ખાતે સ્થાપિત થયેલું ‘જય-વીરુ’નું બેકલાઇટ સ્મારક હવે પ્રવાસીઓ માટે માત્ર એક ફોટો પોઇન્ટ નહીં, પરંતુ ગીરના ગૌરવશાળી ઇતિહાસ અને બે અદભુત સિંહોની અમર મિત્રતાની યાદ અપાવતું પ્રતિક બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now