Banaskantha Geniben Thakor : બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ફરીએકવાર ઠાકોર સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપીને અંધવિશ્વાસ અને અંધ શ્રદ્ધા જેવા મુદ્દાઓ પર ફરી એકવાર સ્પષ્ટ અને નિર્ભય નિવેદન આપ્યું હતું. તેમણે અંધવિશ્વાસ સામે જનજાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આવા કુરિવાજો સમાજને પાછળ ધકેલી રહ્યા છે અને તેને દૂર કરવા દરેક વ્યક્તિએ આગળ આવવું જોઈએ.
'કુરિવાજો સામે હું બોલી છું અને બોલીશ'
સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, 'અંધવિશ્વાસ, વ્યસનમુક્તિ, મહિલા શોષણ અને અંધ શ્રદ્ધા જેવા મુદ્દાઓ ભવિષ્યમાં સમાજ સામે ઊભા થનારા મોટા સામાજિક પડકારો છે. આ મુદ્દાઓ સામે સમયસર જાગૃતિ નહીં લાવવામાં આવે તો તેની ગંભીર અસર સમાજ પર પડશે'. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'કોઈપણ સમાજની સાથે રહીને આ કુટેવો અને કુરિવાજો સામે હું બોલી છું, બોલીશ અને સતત બોલતી રહીશ'
'...હું ચોક્કસ બોલીશ'
તેમણે વધુમાં જણાવ્યું કે, 'સમાજમાં જ્યાં ક્યાંય ખોટું થતું હશે ત્યાં રાજનીતિ કર્યા વિના સત્ય બોલવું જરૂરી છે. સમાજમાં ખોટું થતું હશે ત્યાં બીજો કોઈ બોલશે કે નહીં, એની મને ખબર નથી, પરંતુ હું ચોક્કસ બોલીશ', એવો સંદેશ આપીને તેમણે લોકોને અંધવિશ્વાસ અને અંધ શ્રદ્ધા સામે અવાજ ઉઠાવવા પ્રોત્સાહિત કર્યા. ગેનીબેન ઠાકોરના આ નિવેદનને કાર્યક્રમમાં હાજર લોકોએ સરાહ્યું હતું.





















