ગાંધીનગરમાં આવેલ કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પ્રશાસન અને પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. ધમકી મળ્યા બાદ પોલીસે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કડક કરી તપાસ શરૂ કરી દીધી છે.
મળતી માહિતી અનુસાર, કર્મયોગી ભવનમાં આવેલી નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા કચેરીને નિશાન બનાવી ધમકી આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
સાવચેતીના ભાગરૂપે કર્મયોગી ભવનના વિગ-ડી બ્લોકના 7 મા માળને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો. કચેરીમાં હાજર કર્મચારીઓ અને અન્ય લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જેથી કોઈ અનિચ્છનીય ઘટના બને તો નુકસાન ટાળી શકાય.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. બંને ટીમો દ્વારા સમગ્ર માળ અને આસપાસના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની માહિતી હજુ સુધી સામે આવી નથી, છતાં પોલીસે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી છે. સાથે જ ધમકી કોણે અને કયા માધ્યમથી આપી તે અંગે ટેકનિકલ તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
આ ઘટનાને પગલે સરકારી કચેરીઓમાં કામકાજ કરતી કર્મચારીવર્ગમાં થોડો સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ રાખવામાં આવી છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.




















