ગાંધીનગર શહેર ભાજપના ઉપક્રમે કટોકટી (ઇમરજન્સી)ના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે 'બંધારણ હત્યા' પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ સ્થળોએ યોજાનારા આ ત્રણ દિવસીય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પ્રદર્શન દ્વારા વર્ષ 1975માં લાગુ કરાયેલી કટોકટી દરમિયાન લોકશાહી અને બંધારણીય મૂલ્યો પર પડેલા પ્રભાવને લોકો સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શહેર ભાજપના અધ્યક્ષ આશિષ દવેએ જણાવ્યું હતું કે વર્ષ 1975માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ સત્તા પર ટકી રહેવા માટે દેશમાં કટોકટી લાદી હતી. તેમના કહેવા મુજબ તે સમયગાળા દરમિયાન લોકશાહી અધિકારો પર નિયંત્રણ લાદવામાં આવ્યું હતું અને કટોકટીનો વિરોધ કરનારા અનેક રાજકીય કાર્યકરો તથા સામાજિક આગેવાનોને જેલમાં મોકલવામાં આવ્યા હતા.
ત્રણ દિવસ વિવિધ સ્થળોએ યોજાશે પ્રદર્શન
આશિષ દવેએ જણાવ્યું કે ગાંધીનગરમાં આગામી ત્રણ દિવસ દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 'બંધારણ હત્યા' વિષયક પ્રદર્શન યોજાશે. પ્રદર્શનનો મુખ્ય હેતુ કટોકટીના સમયગાળાની ઐતિહાસિક ઘટનાઓથી નવી પેઢીને માહિતગાર કરવાનો અને લોકશાહીના મૂલ્યો અંગે જનજાગૃતિ લાવવાનો છે. તેમણે વધુમાં કહ્યું કે દેશના દરેક નાગરિકના બંધારણીય અધિકારો કાયમ માટે સુરક્ષિત અને અખંડિત રહે તે અત્યંત જરૂરી છે. લોકશાહી વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે બંધારણના મૂલ્યોનું જતન કરવું દરેક નાગરિકની જવાબદારી છે.
આ પણ વાંચો: હરેન પંડ્યા હત્યા કેસમાં મોટો આદેશ : અસગર અલીની સજા માફી અરજી પર 6 મહિનામાં નિર્ણય
કટોકટીના સમયને યાદ કરવાનો પ્રયાસ
શહેર ભાજપના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં કટોકટી દરમિયાન બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ, તે સમયના દસ્તાવેજો અને લોકશાહી માટે સંઘર્ષ કરનારા લોકોના યોગદાનને પ્રદર્શિત કરવામાં આવશે. ભાજપે જણાવ્યું કે કટોકટીનો વિરોધ કરનારાઓના બલિદાનને યાદ રાખવા અને લોકશાહી પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.






