ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે સતત બીજા દિવસે પણ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. NDRF ટીમને રેસ્ક્યુ દરમિયાન વધુ 1 મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે મોતનો આંકડો વધીને 14 થયો છે. તો બીજી તરફ મુખ્યમંત્રીએ નિમેલી તપાસ સમિતિની ટીમ પણ વહેલી સવારે સ્થળ પર આવીને તપાસ હાથ ધરી છે. પાણીમાં રસાયણ ભરેલા ટેન્કર પણ પડ્યું હોવાથી GPCBના અધિકારીઓની મદદ લેવાઈ છે
સતત બીજા દિવસે રેસ્ક્યુ કામગીરી યથાવત
અત્રે જણાવીએ કે, દુર્ઘટના સ્થળે છેલ્લા 24 કલકાથી બચાવ કામગીરી ચાલી રહી છે. નદીમાં કીચડ અને સિરામિક ટાઇલ્સ ભરેલા ટ્રકને ખસેડી ત્યાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. કલેકટર સહિતના અધિકારીઓ ગઈકાલ સવારથી મોડી રાત સુધી રહ્યાં હતા. તેઓ સતત ઘટના સ્થળે જ બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. મોડી રાતે ફ્લડ લાઈટ લગાવી આ કામગીરી કરવામાં આવી હતી.
એક ટ્રકમાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા
નદીમાં ખાબકેલા ટ્રકને ખેંચવા માટે વાયરો મંગાવવામાં આવ્યા હતા. જેને હિટાચી મશીન સાથે બાંધી ટ્રકને ખેચવામાં આવ્યો હતો, ત્યારબાગ તપાસ હાથ ધરવામાં આવતા અંદરથી ત્રણ વ્યક્તિના મૃતદેહો મળી આવ્યા હતા. જે મૃતદેહનું પાદરા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી પરીક્ષણ કરી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા.
બે મૃતદેહોની ઓળખ થઈ
જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સતત હાજર રહી હતભાગીઓના પરિજનોને કોઈ તકલીફ ના પડે તેની તકેદારી રાખવામાં આવી હતી. આ ઘટનાની ગંભીતાપૂર્વક નોંધ લઈ રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર પટેલિયાને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. પૂનમના કારણે મહી નદીમાં જલ પ્રવાહ વધે તે પહેલાં શક્ય હોય એટલી કામગીરી કરવા માટે સમગ્ર તંત્ર તનતોડ મહેનતે લાગ્યું અને મોડી સાંજે મળેલા મૃતદેહો પૈકી બે વ્યક્તિની ઓળખ સ્થાપિત થઈ. જેમાં એક દ્વારકાના મહેન્દ્રભાઈ પર્વતભાઇ હથીયા અને બીજા આંકલાવના વિષ્ણુભાઈ રાવલનો સમાવેશ થાય છે




















