Home Health-lifestyle Fssai Warning Against Using Newspaper For Food Packaging

વડાપાવથી લઈને ભજિયા સુધી... : અખબારમાં ખાવાનું આપતા વેપારીઓ સાવધાન! FSSAIએ આપી મોટી ચેતવણી

Newspaper Food Packaging Guidelines
Published by: Nirali Gohil
Last Updated: Jun 06, 2026, 07:54 AM IST

Newspaper Food Packaging: દેશભરમાં સ્ટ્રીટ ફૂડ, નાસ્તાની દુકાનો અને નાના-મોટા ખાદ્ય વ્યવસાયોમાં હજુ પણ અખબારનો ઉપયોગ ખોરાક પેક કરવા અથવા પીરસવા માટે થતો જોવા મળે છે. જોકે હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ આ પ્રથા સામે ફરી એકવાર કડક ચેતવણી જાહેર કરી છે. તાજેતરમાં મુંબઈમાં એક જાણીતા વડાપાવ વેચનાર દ્વારા ખોરાક પેક કરવા માટે અખબારનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો મામલો સામે આવ્યા બાદ FSSAI અને બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (MCGM) દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને ધ્યાનમાં રાખીને FSSAIના પશ્ચિમ ક્ષેત્ર કાર્યાલયે તમામ ખાદ્ય વેપારીઓ, રેસ્ટોરન્ટ્સ, સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ અને અન્ય ખાદ્ય સંસ્થાઓને તાત્કાલિક અસરથી અખબાર અથવા આવા કોઈ પણ સામગ્રીનો ખોરાક સાથે સંપર્કમાં ઉપયોગ બંધ કરવા સૂચના આપી છે. સત્તાવાળાઓનું કહેવું છે કે, આ માત્ર નિયમનો ભંગ નથી પરંતુ ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ પણ ઊભું કરી શકે છે.

અખબારની શાહીમાં રહેલા રસાયણો બની શકે ખતરનાક

FSSAIના જણાવ્યા મુજબ અખબારની છાપકામમાં ઉપયોગમાં લેવાતી શાહીમાં અનેક પ્રકારના રંગો, પિગમેન્ટ્સ, બાઈન્ડર્સ અને રસાયણોનો ઉપયોગ થાય છે. ખાસ કરીને તેમાં સીસું (Lead) અને અન્ય ભારે ધાતુઓ (Heavy Metals) પણ હોઈ શકે છે. જ્યારે ગરમ અથવા તેલયુક્ત ખોરાક અખબારના સીધા સંપર્કમાં આવે છે ત્યારે આ હાનિકારક તત્વો ખોરાકમાં ભળી શકે છે. લાંબા ગાળે આવા ખોરાકનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. નિષ્ણાતોના મતે આ પ્રકારના રસાયણો શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે અને અનેક ક્રોનિક બીમારીઓનું કારણ બની શકે છે.

અખબાર બની શકે છે બેક્ટેરિયા અને જીવાણુઓનું માધ્યમ

FSSAIએ એ પણ જણાવ્યું છે કે અખબારો વિતરણ અને હેન્ડલિંગ દરમિયાન અનેક અસ્વચ્છ સ્થળો અને પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. જેના કારણે તે વિવિધ પ્રકારના બેક્ટેરિયા, વાયરસ અને અન્ય રોગજનક જીવાણુઓના વાહક બની શકે છે. જો આવા અખબારમાં ખોરાક પેક કરવામાં આવે તો ફૂડબોર્ન બીમારીઓ ફેલાવાનો ખતરો વધી શકે છે. ખાસ કરીને ખુલ્લા ખોરાક અને સ્ટ્રીટ ફૂડ માટે આ જોખમ વધુ ગંભીર બની શકે છે.

આ પણ વાંચો: CBSEનો મોટો નિર્ણય!: સાયબર હુમલાઓ બાદ OnMark પોર્ટલ બંધ, હવે આ રીતે થશે પુનઃમૂલ્યાંકન

2018ના નિયમોમાં પહેલેથી જ પ્રતિબંધ

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પેકેજિંગ) રેગ્યુલેશન્સ, 2018 હેઠળ અખબાર અથવા આવા કોઈ પણ છાપેલા કાગળનો ખોરાક સંગ્રહવા, પેક કરવા કે લપેટવા માટે ઉપયોગ કરવો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. FSSAIએ અગાઉ પણ આ અંગે એડવાઈઝરી જાહેર કરી હતી. તેમ છતાં હજુ ઘણા સ્થળોએ આ પ્રથાનો ઉપયોગ થતો જોવા મળે છે. જેના કારણે સત્તાવાળાઓએ ફરી એકવાર તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સને નિયમોનું પાલન કરવાની સ્પષ્ટ સૂચના આપી છે.

કયા વ્યવસાયોને લાગુ પડશે આ નિયમ?

FSSAIના નિર્દેશો મુજબ, નાના અને મધ્યમ ખાદ્ય વ્યવસાયો, સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ, રેસ્ટોરન્ટ્સ, ક્લાઉડ કિચન્સ, કેટરર્સ, ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સ (QSRs), ફૂડ સ્ટોલ્સ, રિટેલર્સ, મોબાઇલ ફૂડ વેન્ડર્સ અને ફેરિયાઓ સહિત તમામ ખાદ્ય વેપારીઓ માટે આ નિયમ ફરજિયાત છે. આ સંસ્થાઓ હવે ખોરાકમાંથી વધારાનું તેલ શોષવા, ખાદ્ય સામગ્રી ઢાંકવા, ખોરાક પેક કરવા અથવા પીરસવા માટે અખબારનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરી શકશે નહીં.

ગ્રાહકોને પણ સતર્ક રહેવાની અપીલ

FSSAIએ ગ્રાહકોને પણ સજાગ રહેવાની સલાહ આપી છે. જો કોઈ વેપારી અખબારમાં ખોરાક પીરસતો કે પેક કરતો જોવા મળે તો તેની જાણ સંબંધિત સત્તાવાળાઓને કરવા અપીલ કરવામાં આવી છે.

સાથે જ ગ્રાહકોને માત્ર ફૂડ-ગ્રેડ અને મંજૂર પેકેજિંગ સામગ્રીમાં જ ખોરાક સ્વીકારવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: પટના કોચિંગ ફાયરિંગ કેસમાં ખાન સર સિવિલ કોર્ટ પહોંચ્યા: સરેન્ડર બાદ જામીન અરજીની તૈયારી

સુરક્ષિત અને પર્યાવરણમૈત્રી પેકેજિંગને પ્રોત્સાહન

FSSAI અને રાજ્યની ફૂડ સેફ્ટી એજન્સીઓ ફૂડ સેફ્ટી એક્ટ, 2006 અને તેના હેઠળના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા સતત કામગીરી કરી રહી છે. સત્તાવાળાઓ સુરક્ષિત અને પર્યાવરણમૈત્રી પેકેજિંગના ઉપયોગને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. સરકારનો ઉદ્દેશ માત્ર ખોરાકની સલામતી જ નહીં પરંતુ પર્યાવરણ સુરક્ષા અને ગ્રાહકોમાં જાગૃતિ વધારવાનો પણ છે. FSSAIનું માનવું છે કે, ખાદ્ય સુરક્ષા માત્ર ઉત્પાદકો અને વેપારીઓની જ જવાબદારી નથી, પરંતુ ગ્રાહકોની સજાગતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તેથી તમામ હિતધારકોને નિયમોનું પાલન કરીને સુરક્ષિત ખાદ્ય વ્યવસ્થા નિર્માણમાં સહભાગી બનવાની અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now