અંબાજી મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોમવારે બપોરે અંબાજી મંદિરના વહીવટદારની ઓફિસમાં એક ગંભીર બનાવ બન્યો હતો. અંબાજી કોલેજના પૂર્વ પ્રોફેસર મોદનાથ મિશ્રાએ મંદિરના વહીવટદારનું ગળું દબાવી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના પ્રકાશમાં આવી છે, જેના કારણે મંદિર પ્રશાસન અને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
અંબાજી મંદિરના વહીવટદારનું ગળું દબાવી ધમકી આપી
પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વ પ્રોફેસર મોદનાથ મિશ્રા સોમવારે બપોરે અંબાજી મંદિરના વહીવટદાર કમ અધિક કલેક્ટરને મળવા માટે તેમની ઓફિસમાં પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે પોતાની સામે ચાલી રહેલા કોર્ટ કેસ બાબતે વહીવટદાર પાસે મદદ માગી હતી. જોકે વહીવટદારે કોર્ટમાં ચાલી રહેલા મામલે કોઈ મદદ કરવા અસમર્થતા વ્યક્ત કરતા પ્રોફેસર મિશ્રા ઉશ્કેરાઈ ગયા હતા. આ દરમિયાન તેઓ ગુસ્સામાં આવી ગયા અને અચાનક વહીવટદારનું ગળું દબાવી દીધું હતું તેમજ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
મોદનાથ મિશ્રા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી
ઘટનાથી વહીવટદાર અને ત્યાં હાજર કર્મચારીઓ ગભરાઈ ગયા હતા. તાત્કાલિક આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાને લઈ મોદનાથ મિશ્રા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મંદિર જેવા પવિત્ર સ્થળે આ પ્રકારની ઘટના બનવી એ અંબાજી મંદિરના ઈતિહાસમાં પહેલી વાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
મોદનાથ મિશ્રા સામે ACB થયેલી છે
મોદનાથ મિશ્રાના ભૂતકાળ પર નજર કરીએ તો વર્ષ 2010થી 2012 દરમિયાન તેમના વિરુદ્ધ તત્કાલીન કોલેજના પ્રિન્સિપાલ દ્વારા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)માં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસ હાલ પણ કોર્ટમાં ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાને લઈ મંદિર પ્રશાસન તેમજ સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જોવા મળી રહી છે.




















