નવસારી એસીબી દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં નવસારીના ભૂતપૂર્વ મદદનીશ ભૂતત્વશાસ્ત્રી સંદીપ મધકુર ખોપકરની ધરપકડ કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગમાં GIS-2 તરીકે ફરજ બજાવનાર અને હાલ નિવૃત્ત ખોપકર સામે 62.13% અપ્રમાણસર મિલ્કતનો ગંભીર કેસ નોંધાયો છે.
અપ્રમાણસર મિલકત
એસીબીની તપાસ મુજબ 2009 થી 2018 વચ્ચે સંદીપ ખોપકરે પોતાની કાયદેસર આવકની સરખામણીએ રૂ. 1,02,46,949 જેટલી વધારે તથા અપ્રમાણસર મિલકત એકઠી કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, તેમણે ગેરકાયદેસર રીતે નાણાં મેળવ્યા અને તે રકમથી વિવિધ મિલ્કતો તથા રોકાણો કર્યા હતા.
મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યાનો ખુલ્યો
આ ગંભીર ગોટાળાને પગલે પોલીસ દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સુરત એસીબીના અધિકારીઓએ સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે જેથી ગેરકાયદેસર સંપત્તિનો સંપૂર્ણ પર્દાફાશ થઈ શકે.






