Tigers in Gujarat : પંચમહાલ-દાહોદ જિલ્લાના રતનમહાલ વન વિસ્તારમાં વાઘ દેખાયા પછી વન વિભાગમાં ચકાસણી અને સતર્કતા વધારી દેવામાં આવી છે. આ બાબતે રાજ્યના કેબિનેટ કક્ષાના વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ મીડિયા સાથે વાતચીત કરી મહત્વની માહિતી આપી હતી.
'તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે'
વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, 'પંચમહાલ-દાહોદના રતનમહાલ વિસ્તારમાં વાઘ દેખાયા હોવાની માહિતી મળી છે અને આ અંગે વન વિભાગને જરૂરી પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે'. તેમણે વધુમાં જણાવ્યું કે 'સમગ્ર ઘટનાની સંપૂર્ણ વિગતો મેળવવામાં આવી રહી છે અને તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે'.
'...એ દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે'
વન મંત્રીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં અગાઉ વાઘો હતા, પરંતુ સમય જતાં વાઘની વસ્તી ધીમે ધીમે ખતમ થઈ ગઈ હતી.” તેમણે ઉમેર્યું હતું કે, “ગુજરાતમાં ફરીથી યોગ્ય ઇકો સિસ્ટમ ઉભી થઈ શકે તેમ છે અને એ દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.”
'વન વિભાગ સતર્ક બન્યો છે'
પ્રાપ્ત માહિતી અનુસાર, વાઘના દેખાવને પગલે વન વિભાગ સતર્ક બન્યો છે. વન અધિકારીઓ દ્વારા સ્થળ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આસપાસના વિસ્તારોમાં ચકાસણી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક વન વિસ્તાર તેમજ તંત્રમાં તપાસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે રતનમહાલ વન વિસ્તાર અને આસપાસના ગામોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. વન વિભાગ દ્વારા પરિસ્થિતિ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે અને આગળની કાર્યવાહી અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.





















