Forest Minister Arjun Modhwadia: ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની 26મી બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મીડિયાને મહત્વની વિગતો આપી હતી. મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે સરકાર પૂર્ણપણે કટિબદ્ધ છે. બેઠકમાં સિંહ અભયારણ્ય, પક્ષી અભયારણ્ય, ઘુડખર અભયારણ્ય અને રીંછ અભયારણ્ય જેવા વન્યજીવ કેન્દ્રોના વિકાસ તેમજ વન્ય પ્રાણીઓની સુરક્ષા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.
વિશેષ આનંદની વાત
વન્યજીવ વસ્તી ગણતરી દરમિયાન રતનમહાલ અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાઈ છે. આ ઘટના ગુજરાત માટે અત્યંત ગૌરવની છે. વાઘના કાયમી વસવાટ, સુરક્ષા અને તેની સંખ્યામાં વૃદ્ધિ માટે વન વિભાગ દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. NTCA (નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી) સાથે સતત સંપર્કમાં રહીને તેમના તમામ માર્ગદર્શિત સિદ્ધાંતો અને ઉપાયોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. વાઘના ખોરાક અને વસવાટની ક્ષમતા વધારવા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
સ્થાનિક સમુદાયની ભાગીદારી
NTCAની સહભાગીતાથી વાઘ સંરક્ષણ અને જતન માટે કોમ્યુનિટી પાર્ટીશિપેશન તાલીમનું આયોજન સ્થાનિક લોકો માટે કરવામાં આવશે, જેથી સમુદાય સક્રિય રીતે સંરક્ષણમાં જોડાઈ શકે.
ઇકો-ટુરિઝમને વેગ
મુખ્યમંત્રીના સૂચન મુજબ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે. પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે વન્યજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ ન પહોંચે તે માટે વિઝિટર ગાઈડલાઈન્સ અને પોલિસી તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં દીપડાઓની વધતી સંખ્યા અને રેસ્ક્યુ થયેલા દીપડાઓ માટે અભયારણ્યનું સ્થળ નક્કી કરવાના આયોજન પર પણ ચર્ચા થઈ હતી. આ પગલાંઓથી ગુજરાત વન્યજીવ સંરક્ષણ અને ઇકો-ટુરિઝમમાં નવી ઊંચાઈઓ સર કરશે તેવી અપેક્ષા છે.




















