Jamalpur Food Poisoning : અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા છીપાવાડના ગફૂરજીની ગલીમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. અહીં નવા ઘરના પ્રસંગે યોજાયેલ જમણવાર બાદ 30થી વધુ લોકોને અચાનક તબિયત બગડતા તેમને અલગ–અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જમણવારમાં માત્ર પરિવારજનો અને નજીકના સંબંધીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
ગાજરનો હલવો ખાદ્યો અને...
જમણવાર દરમિયાન ગાજરનો હલવો, ખીચડી અને નોનવેજ વાનગીઓ પીરસવામાં આવી હતી. વાનગીઓ ખાધા થોડા સમય બાદ જ લોકોમાં ઉલ્ટી, ચક્કર અને ડાયરીયાની લક્ષણો દેખાવા લાગ્યા હતા. પરિસ્થિતિ ગંભીર બનતા છીપા વેલ્ફેર હોસ્પિટલ અને જમાલપુર ચેપી રોગ હોસ્પિટલમાં દર્દીઓને તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા. મામલાની જાણ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી.
ફૂડ વિભાગની ટીમે તપાસ હાથધરી
ફૂડ વિભાગે ગાજરના હલવાનો સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક જાણકારી મુજબ ગાજરનો હલવો જ ફૂડ પોઈઝનિંગનું મુખ્ય કારણ હોઈ શકે છે, જો કે લેબ રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસતા આવશે. આ અચાનક બનેલી ઘટનાથી વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોમાં ગભરાટનું વાતાવરણ છવાયું હતું. હાલ તમામ દર્દીઓ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે અને મોટાભાગની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.






