Home Gujarat Fishing Boat Sinks Near Una Navabandar Coast 6 Fishermen Rescued

ઉનાના દરિયામાં ઊંચા મોજાં વચ્ચે બોટની જળસમાધિ : મધદરિયે બોટમાં પાણી ભરાતા મચી ચીસાચીસ, 6 ખલાસીઓએ દરિયામાં કૂદી જીવ બચાવ્યો

Gir Somnath Boat Sinks Fisherman Rescue
Published by: Nirali Gohil
Last Updated: Apr 15, 2026, 12:48 PM IST

Gir Somnat News: ગીર-સોમનાથ જિલ્લાના નવાબંદરના દરિયામાં એક માછીમારી બોટ ડૂબી જવાની ગંભીર ઘટના સામે આવી છે. દરિયામાં અચાનક પલટાયેલા હવામાન અને જોરદાર મોજાંઓના કારણે ‘ક્રિષ્ના સાગર’ નામની બોટે મધદરિયે જળસમાધિ લીધી હતી. બોટ ડૂબતી જોઈ તેમાં સવાર 6 ખલાસીઓએ ગભરાવાને બદલે હિંમત બતાવી દરિયામાં ઝંપલાવ્યું હતું. સદભાગ્યે, નજીકમાં રહેલી અન્ય બોટોએ સમયસર રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તમામ ખલાસીઓને મોતના મુખમાંથી બહાર કાઢ્યા હતા. જોકે, આ દુર્ઘટનામાં બોટ માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

મધદરિયે મધરાતે સર્જાયું સંકટ: 10 નોટિકલ માઈલ દૂર બોટ ડૂબી

વિગતો મુજબ, નવાબંદરની “ક્રિષ્ના સાગર” બોટ ગત 13 એપ્રિલના રોજ માછીમારીના આશય સાથે દરિયામાં રવાના થઈ હતી. બોટ જ્યારે કિનારાથી અંદાજે 10 નોટિકલ માઈલ દૂર પહોંચી ત્યારે અચાનક મધરાતે હવામાન વેરણ બન્યું હતું. દરિયામાં ઉઠેલા પ્રચંડ મોજાં અને ભારે પવનના કારણે બોટ પરનું નિયંત્રણ ખોરવાયું હતું. મોજાંની એક જોરદાર થપાટ વાગતા બોટમાં પાણી ભરાવવાનું શરૂ થયું હતું. ખલાસીઓએ પાણી કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ જોતજોતામાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ અને બોટ ધીમે-ધીમે ગરકાવ થવા લાગી હતી.

ખલાસીઓનું સાહસ: જીવ બચાવવા દરિયામાં લગાવી ઠેક

જ્યારે બોટ ડૂબવા લાગી ત્યારે તેમાં સવાર 6 ખલાસીઓ પાસે બચવા માટે મર્યાદિત સમય હતો. ડૂબતી બોટ સાથે પોતે પણ દરિયાના તળિયે ન ખેંચાઈ જાય તે માટે તમામ ખલાસીઓએ એકસાથે દરિયામાં કૂદકો માર્યો હતો. કાળા ડિબાંગ અંધારા અને ઊંચા મોજાંઓ વચ્ચે આ ખલાસીઓ એકબીજાનો હાથ પકડીને પાણીમાં તરતા રહ્યા હતા. માછીમારોની આ સૂઝબૂઝ અને હિંમતે જ તેમને જીવનદાન આપ્યું હતું.

આ પણ વાંચો: ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં ચૂંટણી પ્રચાર સાહિત્યનું કરાયું નિદર્શન : ગુજરાતમાં ચૂંટણી પહેલા ભાજપની મુખ્ય રણનીતિ શું છે?

અન્ય માછીમારો બન્યા દેવદૂત: સફળ રેસ્ક્યૂ ઓપરેશન

ઘટનાની જાણ થતા જ આસપાસમાં માછીમારી કરી રહેલી અન્ય બોટના ખલાસીઓ મદદ માટે દોડી આવ્યા હતા. નવાબંદરની જ અન્ય બોટ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને પાણીમાં ડૂબકાં ખાઈ રહેલા છએ છ ખલાસીઓને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. તમામ માછીમારો સુરક્ષિત રીતે કિનારે પહોંચતા પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, બોટ દરિયામાં ડૂબી જવાથી માછીમારોની આજીવિકા પર મોટી અસર પડી છે.

હવામાનની અસ્થિરતા વચ્ચે માછીમારોમાં ચિંતા

છેલ્લા કેટલાક દિવસોથી દરિયામાં પવનની ગતિ અને મોજાંઓની સ્થિતિ અસ્થિર હોવાને કારણે સ્થાનિક માછીમારોમાં ચિંતા વ્યાપી છે. હાલમાં ડૂબી ગયેલી “ક્રિષ્ના સાગર” બોટને બહાર લાવવા માટે દરિયાઈ કરંટ અને પવનને ધ્યાનમાં રાખીને પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા પણ માછીમારોને હવામાનની સચોટ માહિતી મેળવીને જ દરિયામાં ખેડાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now