Veraval News Fishing Boat Accident: વેરાવળના દરિયાકાંઠે એક દુઃખદ ઘટના સામે આવી છે. અરબી સમુદ્રમાં એક ફિશિંગ બોટને જળસમાધિ મળતા એક ખલાસીનું મોત થયું છે, જ્યારે બોટમાં સવાર અન્ય ચાર ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. ઘટના વેરાવળથી આશરે 2 નોટિકલ માઈલ દૂર, સાંજે 7:30 વાગ્યે બની હતી.
મળતી માહિતી અનુસાર, ફિશિંગ બોટમાં ખલાસીઓ માછલી પકડવાના જાળ ખેંચી રહ્યા હતા, ત્યારે અચાનક ભારે લહેર અને વજનના કારણે બોટનું સંતુલન બગડ્યું અને બોટ પાણીમાં ધસી ગઇ. બોટ ઓચિંતા જળસમાધિ થતાં ખલાસીઓ પાણીમાં તણાઈ ગયા. ઘટનાની માહિતી મળતાની સાથે જ નજીકમાં રહેલી અન્ય બોટો અને કોસ્ટગાર્ડ ટીમે તરત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
દુર્ઘટના દરમિયાન અરવિંદ ભારાવાલા નામના ખલાસીનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. બાકીના ચાર ખલાસીઓને ઝડપથી પાણીમાંથી બહાર કાઢી સલામત રીતે કિનારે લાવવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ટીમે સમયસર કામગીરી કરતા વધુ જાનહાનિ ટળી હોવાનો અહેવાલ છે.
સ્થાનિક માછીમારો અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં દરિયામાં લહેરો તેજ બનતા અકસ્માતની શક્યતાઓ વધી રહી છે. સત્તાવાળાઓએ માછીમારોને તકેદારી રાખવાની અને હવામાન મુજબ જ દરિયામાં ઉતરવાની સલાહ આપી છે.
પોલીસ અને માછીમારી વિભાગે ઘટનાની તપાસ શરૂ કરી છે. મૃતક ખલાસીના પરિવારજનોને મદદરૂપ થાય તેવા જરૂરી કાનૂની પગલાં પણ હાથ ધરવામાં આવશે.






