Gir Somnath Fire Incident : ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના ધામળેજ ગામે મોડી રાતે આગની ગંભીર ઘટના સામે આવી છે. ગામના બસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે અંદાજે 1:30 વાગ્યે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં ત્રણ દુકાનોમાં ભારે નુકસાન થયું છે, જેના કારણે વિસ્તારના વેપારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.
સુત્રાપાડાના ધામળેજ ગામે મોડી રાતે આગની ઘટના
આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ વેરાવળ ફાયર વિભાગની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઝપટમાં એક જ્વેલર્સની દુકાન, એક કાપડની દુકાન અને એક કટલેરીની દુકાન આવી હતી. ત્રણેય દુકાનોમાં રહેલો લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે.
કોઈ જાનહાનિ નહીં
સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવાની ઘટના બની નથી, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રાથમિક રીતે આગનું કારણ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ સુત્રાપાડા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આગના સાચા કારણ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.





















