ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ આગ પર આમ તો કાબૂ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ આગના કારણે મોટું નુકસાન પણ થયું છે. કુંભ મેળાના શાસ્ત્રી બ્રિજ સેક્ટર 19ના કેમ્પમાં ભીષણ આગ લાગી. જાણકારી મળતાની સાથે જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો છે. મળતી માહિતી પ્રમાણે ભોજન બનાવતા સમયે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. અને આસપાસના આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. જો કે, તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
મહાકુંભમાં આગ લાગ્યાના સમાચારોથી અફરાતફરી મચી ગઈ હતી પરંતુ સારી વાત એ છે કે, તેમાં કોઈ જાનહાનિ નથી થઈ. ગીતા પ્રેસ ટેન્ટમાં આગ લાગી અને તે આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી. મહાકુંભ મેળામાં આગ લાગતા જ યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તરત જ તમામ જાણકારી લીધી. ખુદ તેઓ ઘટના સ્થળે પણ પહોંચ્યા હતા. સાથે જ પ્રધાનમંત્રી મોદીએ પણ તમામ માહિતી લીધી. પ્રશાસન સતત આ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
આગ લાગવાના કારણે આ સેક્ટરમાં આવેલા 250 ટેન્ટ રાખ થઈ ગયા. આગની જ્વાળાઓ દૂર સુધી જોવા મળી હતી. આ ટેન્ટમાં જે લોકો રહેતા હતા તેમની ચિંતામાં વધારો થયો છે. આ આગ શાસ્ત્રી પુલ અને રેલવે પુલની વચ્ચે લાગી હતી. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડના કર્મચારીઓ હજુ પણ હાજર છે, તેઓ બારીકાઈથી તમામ તપાસ કરી રહ્યા છે. ફરી આગ ન લાગે તે માટે પણ ખાતરી કરવામાં આવી રહી છે.






