અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં મોની હોટલના ખાંચામાં આવેલા ગુરુકૃપા એસ્ટેટમાં કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતાની સાથે જ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટ ઉડવા લાગ્યા હતા, જેના કારણે આસપાસના લોકોમાં અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના કારણે સમગ્ર વિસ્તાર ભયના માહોલમાં જોવા મળી રહ્યો છે.
ઇસનપુરમાં કેમિકલના ગોડાઉનમાં આગ ભીષણ
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ ફાયર વિભાગની કુલ 8 ગાડીઓ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં જોડાઈ છે. કેમિકલ ગોડાઉનમાં આગ લાગવાથી આગ વધુ વિકરાળ બનવાની શક્યતા હોવાથી ફાયર વિભાગ દ્વારા ખૂબ સાવચેતી સાથે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
લોકોમાં ડરનો માહોલ
આગના કારણે આસપાસના રહેણાંક અને વ્યાવસાયિક વિસ્તારોમાં રહેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરક્ષાના પગલાં તરીકે સ્થાનિક લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. હાલ સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી, પરંતુ આગનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો યથાવત ચાલુ છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.




















