Vijay Rupani Funeral Live Updates: રાજકોટમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળી. વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં હજારો લોકો સ્વયંભૂ ઉમટી પડ્યાં. રૂપાણીએ કરેલા કાર્યો અને તેમના સાદગી ભર્યા સ્વભાવને કારણે તેઓ હંમેશા સૌના પ્રિય રહ્યાં છે. ખાસ કરીને રાજકોટને રંગીલું બનાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. તેઓ એક સમયે રાજકોટના મેયર પણ રહ્યાં હતાં. ત્યાર બાદ તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા. પછી તેમણે પાંચ વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સુપેરે નિભાવી. આમ વિજય રૂપાણીને અંતિમ વિદાય આપવા માટે આખું રાજકોટ શહેર રસ્તા પર ઉતરી આવ્યું હતું. રૂપાણીના પરિવારે પણ અંતિમ યાત્રા વખતે શ્રદ્ધાંજલિ આપવા ઉમટેલાં લોકોને વંદન કરીને પરસ્પર લાગણી વ્યક્ત કરી. વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં ભાજપના રાજ્યકક્ષાથી લઈને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ પદયાત્રા કરતા જોવા મળ્યાં.
ઉલ્લેખનીય છેકે, 12 જૂનના રોજ અમદાવાદમાં સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના બની હતી. અમદાવાદથી લંડન જવા માટે રવાના થયેલી ફ્લાઈટ ટેક ઓફની બે મિનિટમાં જ ક્રેશ થઈ ગઈ. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર મુસાફરો ઉપરાંત જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં અનેક લોકોના મોત નીપજ્યાં છે. આ વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારાઓની યાદીમાંથી એક નામ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ હતું. દુર્ઘટના બાદ મૃતકોની ઓળખ કરવી મુશ્કેલ બની છે. ત્યારે DNA મેચ થવાના આધારે વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ કરવામાં આવી છે. આજે રાજકોટ ખાતે વિજય રૂપાણીને અંતિમ વિદાય આપવામાં આવશે. આજે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજકોટમાં પુરા રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે.
ઉલ્લેખનીય છેકે, 12 જૂને અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં વિજય રૂપાણી પોતાના પરિવારને મળવા જઈ રહ્યા હતા. પરંતુ આ ફ્લાઈટ દુર્ઘટના બની અને તેમનું નિધન થયું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પણ આજે પરિવારનો સોંપાશે. ત્યાર બાદ રાજકોટના રામનાથપરામાં આવેલાં સ્મશાન ગૃહ ખાતે રાજકીય સન્માન સાથે વિજય રૂપાણીની અંતિમવિધિ કરવામાં આવશે. જે અન્વયે આજે રાજ્યમાં એક દિવસીય રાજકીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. હંમેશા લોકોની મદદ માટે તૈયાર રહેતા પૂર્વ મુખ્યમંત્રીને રાજકોટ સહિત આખું ગુજરાત ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. મહત્વનું છે કે, સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જાણીતા વિજય રૂપાણીએ પાંચ વર્ષ સુધી ગુજરાતની ધુરા સંભાળી હતી.
આજે વિજય રૂપાણીની અંતિમ યાત્રાઃ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે અંતિમ સફરે નીકળશે. આજે સવારે 11 વાગ્યાની આસપાસ તેમનો પરિવાર સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે અને વિજય રૂપાણીનો પાર્થિવદેહ સ્વીકારશે. જે બાદ 12 વાગ્યાની આસપાસ હવાઈ માર્ગેથી પરિવાજનો મૃતદેહ લઈને રાજકોટ જવા રવાના થશે. સાંજે 4થી 5 વાગ્યા સુધી વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રખાશે. 5 વાગ્યા પછી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે, અને રામનાથ પરા સ્મશાન ગૃહમાં અગ્નિદાહ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પંચમહાભૂતમાં વિલિન થઈ જશે.
રૂપાણીના સન્માનમાં આજે રાજકીય શોક જાહેરઃ
આજે રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક પણ જાહેર કરાયો છે, જેથી રાજ્યની તમામ સરકારી બિલ્ડિંગો પર અડધી કાઠીએ દેશનો રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રામાં રાષ્ટ્રીય નેતાઓ પણ હાજર રહ્યાં. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ગુજરાત મંત્રી મંડળના સભ્યો હાજરી આપી. તો મંગળવારે રાજકોટમાં અને બુધવારે ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રીની પ્રાર્થનાસભા રાખવામાં આવશે.
રૂપાણીને અપાયું ગાર્ડ ઓફ ઓનરઃ
ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવના પ્રાંગણમાં પૂર્વ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો. રાજકોટ ખાતે તેમના અંતિમ દર્શન અને અંતિમયાત્રા કાઢવામાં આવી. માટે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. સવારે ૧૧.૩૦ કલાકે તેમના પર પરિવારજનોને મૃતદેહ સોંપાઈ જશે.
રૂપાણીના સન્માનમાં ત્રણ શોકસભાનું આયોજનઃ
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રાર્થનાસભા, રાજકોટ
17 જુન, 2025 મંગળવારે સાંજે 3.00 થી 6.00
પ્રાર્થના સભા સ્થળ : રેસકોર્ષ મેદાન, રાજકોટ
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રાર્થનાસભા, ગાંધીનગર
19 જુન, 2025 ગુરુવારના રોજ સવારે 9.00 થી 12.00
પ્રાર્થના સભા સ્થળ : હૉલ નં. | એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ, સેક્ટર-૧૭, ગાંધીનગર
ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થનાસભા, ગાંધીનગર
20 જુન, 2025 શુક્રવારે સાંજે સાંજે 4.00 થી 6,00
પ્રાર્થના સભા સ્થળ : કમલમ, કોબા, ગાંધીનગર




















