Surat News: સુરતના તક્ષશિલા અગ્નિકાંડને ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં, પીડિત પરિવારોની વ્યથા આજે પણ ઓસરતી નથી. આ ઘટનામાં દીકરી ગુમાવનાર પિતા દિનેશ કેવડિયાએ હવે ન્યાય માટે સીધી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત એવી દુર્ઘટનાના ભોગબનનાર વ્યક્તિએ પોતે જ પાર્ટી ઇન પર્સન તરીકે PIL દાખલ કરી છે.
દિનેશ કેવડિયા આર્થિક પરિસ્થિતિને કારણે મોટાં વકીલો રાખી શક્યા નહીં, તેથી તેઓ પોતે જ સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચ સમક્ષ હાજર રહ્યા અને પોતાની દીકરી યશ્વીની દુખદ કહાની સાથે દેશભરમાં બનતી આવા પ્રકારની દુર્ઘટનાઓ વિશે અસરકારક દલીલો રજૂ કરી છે.
જજોએ તેમની રજૂઆતને ગંભીરતાથી લઈ, કેન્દ્ર સરકાર, તમામ રાજ્ય સરકારો અને દુર્ઘટનાથી સંબંધિત કુલ 8 વિભાગોને નોટિસ મોકલવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ચાર અઠવાડિયામાં તમામને જવાબ આપવા કહ્યા છે. હવે આ કેસની વધુ સુનાવણી આવતા 5 જાન્યુઆરીએ થવાની છે.
દિનેશ કેવડિયાએ જણાવ્યું કે, દીકરી ગુમાવ્યા બાદ પરિવારજન દરરોજ તૂટે છે, મરી-મરીને જીવવાનું થાય છે. પરંતુ તંત્રની આંખ ખુલે તે માટે ન્યાય મેળવવો જ પડશે.
PIL માં આપેલી મુખ્ય માંગણીઓ
PIL માં આપેલી મુખ્ય માંગણીઓમાં દેશભરમાં વારંવાર બનતી દુર્ઘટનાઓને રોકવા માટે એકસરખી રાષ્ટ્રીય નીતિ બનાવવી. તમામ પીડિતોને તાત્કાલિક અને પૂરતું વળતર આપવા સ્પષ્ટ નિયમો બનાવવા. ભૂલ કરનાર અધિકારીઓ, ઇજનેરો, બિલ્ડરો માટે જવાબદારી નક્કી કરીને કડક કાર્યવાહી ફરજિયાત બનાવવી. દેશભરમાં એમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ અમલમાં મૂકવી. અગ્નિસુરક્ષા અને બાંધકામના નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે ફરજિયાત માર્ગદર્શિકા જાહેર કરવી. બનાવાયેલા વિભાગો યોગ્ય રીતે કામ ન કરતા હોય ત્યારે કઠોર પગલાં લેવા.
આ PIL માત્ર તક્ષશિલા અગ્નિકાંડ માટે જ નહીં, પરંતુ ભારતભરમાં થતી દુર્ઘટનાઓ માટે એક દિશા દર્શાવનાર કેસ બની શકે છે. જો સુપ્રીમ કોર્ટ માર્ગદર્શિકા જાહેર કરે તો ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવામાં મોટી મદદ મળશે.






