Father-son jump into canal: ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામ પાસે આવેલી નર્મદા નહેરમાં ગુરુવારે સાંજના સમયે એક હૃદયવિદારક ઘટના બની હતી. ગામના રહેવાસી મહેશભાઈ મફાભાઈ દાદરેજાએ પોતાના 8 વર્ષીય પુત્ર દેવરાજ મહેશભાઈ દાદરેજા સાથે નહેરમાં છલાંગ લગાવી દીધી હતી. બંનેનાં મોત થયાં હોવાનું મનાય છે, પરંતુ હજુ સુધી લાશો મળી આવી નથી.
પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી
જાણવા મળતી માહિતી મુજબ, મહેશભાઈ પોતાના પુત્ર દેવરાજને લઈને ગામથી નીકળ્યા હતા અને સીધા નર્મદા કેનાલ પાસે પહોંચીને પાણીમાં કૂદી પડ્યા હતા. આ ઘટનાની જાણ ગામજનોને થતાં તુરત જ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાંની સાથે જ ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખવામાં આવી
રાત્રીના અંધકાર અને કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધકાર્યમાં મુશ્કેલી પડી રહી હતી. મોડી રાત સુધી લાશોની શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી, પણ બંનેની લાશ મળી ન હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી આખા ગામમાં શોકનું મોટું વાતાવરણ છવાઈ ગયું છે. મહેશભાઈએ આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે






