Jamnagar Corporate Beating Case : જામનગર શહેરમાં વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષના નેતા અસલમ ખીલજી પર અજાણ્યા શખ્સોએ હુમલો કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ગત રાત્રે લાલ બંગલો સર્કલથી ભીડભજન મંદિર તરફ જતા માર્ગ પર આ ઘટના બની હતી, જ્યાં અસલમ ખીલજી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તેમને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
જામનગરમાં કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલો
અસલમ ખીલજી જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના નગરસેવક છે તેમજ અગાઉ તેઓ વિપક્ષના નેતા તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેઓ તાજેતરમાં જ કોંગ્રેસ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, જેને લઈને આ હુમલો રાજકીય કારણસર થયો હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, હુમલાનું સાચું કારણ શું હતું અને હુમલાખોરો કોણ હતા તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે તપાસ હાથધરી
હુમલાની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દરબારગઢ નાકા બહાર આવેલા વિવિધ વિસ્તારો બંધ કરાયા હતા. સાથે સાથે સિટી-એ ડિવિઝન પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પૂર્વ વિપક્ષી નેતા તથા આપના નગરસેવક પર થયેલા આ હુમલા બાદ જામનગર પોલીસ સંપૂર્ણ સજ્જ બની ગઈ છે.





















