વડોદરા શહેર નજીક NH-48 હાઈવે પર ગંભીર અકસ્માતમાં દાદી અને પૌત્રનું મોત થયું છે. રોડ ક્રોસ કરી રહેલા દાદી અને પૌત્રને એક બેફામ કારચાલકે જોરદાર ટક્કર મારી ઉડાવતાં બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ દુઃખદ ઘટનાથી પરિવારમાં ભારે શોક અને આક્રંદ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, દાદી અને પૌત્ર પોતાના ગામડેથી શહેરમાં રહેતા દીકરાના ઘરે આવી રહ્યા હતા. હાઈવે ઓળંગતી વખતે એક કાળમુખી કારે તેમને અડફેટે લીધા હતા. કારની ઝડપ વધુ હોવાથી અકસ્માત અત્યંત ગંભીર બન્યો હતો.
ગમખ્વાર અકસ્માત બેના મોત
આ અકસ્માતમાં હરખાબેન પ્રભાતભાઈ સોલંકી (ઉંમર 70 વર્ષ) અને તેમના પૌત્ર વનરાજ સોલંકી (ઉંમર 10 વર્ષ)નું મોત થયું છે. બંને મૂળ પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકાના વાછાવડ ગામના નિશાળ ફળિયાના રહેવાસી હતા. હાલ તેઓ વડોદરાના બાપોદ વુડાના વિસ્તારમાં મકાનમાં રહેતા પરિવારજનોને મળવા આવી રહ્યા હતા. આ મામલે મૃતક પુત્રના પિતા શનાભાઈ સોલંકી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં બેફામ રીતે કાર ચલાવનાર કારચાલક સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. એકસાથે બે સ્વજનો ગુમાવતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથધરી
પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી છે અને અકસ્માત સર્જનાર કારચાલક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પરિવારજનો દ્વારા ન્યાય અપાવવાની માગ ઉઠાવવામાં આવી છે.





















