MSPના મુદ્દે ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વચ્ચેની બેઠકનો અંત આવ્યો. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે અમે ખેડૂત સંગઠનો વચ્ચે ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા કરી છે. આગામી બેઠક 19 માર્ચે ચંદીગઢમાં યોજાશે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને પ્રલહાદ જોશી પણ હાજર રહ્યા હતા.
એક ખેડૂત નેતાએ કહ્યું કે બેઠકમાં MSP મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તેના આધારે ડેટા દર્શાવવામાં આવ્યો છે અને તેને સરકાર સાથે શેર કરવામાં આવશે. અમારી વચ્ચે ઘણી સારી ચર્ચા થઈ હતી. જો કે, આ ચર્ચા માત્ર MSP વિશે હતી. ખેડૂતો MSP પર કાયદાકીય ગેરંટીની માંગ કરી રહ્યા છે. ત્રણેય મંત્રીઓએ જગજીત સિંહ દલ્લેવાલની ભૂખ હડતાળને સમાપ્ત કરવા વિશે વાત કરી હતી પરંતુ કહ્યું હતું કે જ્યાં સુધી આ બાબતનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ભૂખ હડતાળ સમાપ્ત થશે નહીં.
ખેડૂતો એક વર્ષથી વધુ સમયથી ખાનૌરી સરહદ પર કરી રહ્યાં છે વિરોધ
વાટાઘાટો પાક માટે લઘુતમ ટેકાના ભાવ (MSP)પર કાયદાકીય ગેરેંટી સહિત તેમની બાકી માંગણીઓ પર કેન્દ્રિત હતી. ખેડૂત સંગઠનો-સંયુક્ત કિસાન મોર્ચા (બિન-રાજકીય) અને કિસાન મજૂર મોર્ચા-ગત વર્ષે 13 ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણા સરહદ વચ્ચે શંભુ અને ખાનૌરીમાં વિરોધ કરી રહ્યાં છે. સુરક્ષા દળોએ તેમને તેમની માંગણીઓ સાથે દિલ્લી તરફ કૂચ કરવાની મંજૂરી આપી ન હતી.
છેલ્લી બેઠક 14 ફેબ્રુઆરીએ યોજાઈ હતી
કિસાન મજૂર મોરચાના સંયોજક સરવન સિંહ પંઢેરે કહ્યું હતું કે જો તેમને સકારાત્મક પ્રતિસાદ નહીં મળે તો તેઓ 25 ફેબ્રુઆરીએ દિલ્લી કૂચ ફરી શરૂ કરશે. હાલમાં, આ કૂચ મુલતવી રાખવામાં આવી છે કારણ કે બીજી બેઠક 19 માર્ચે થવાની છે. અગાઉ કેન્દ્રીય મંત્રી પ્રલહાદ જોશીના નેતૃત્વમાં ટીમ અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચે 14 ફેબ્રુઆરીએ ચંદીગઢમાં બેઠક યોજાઈ હતી, જેમાં બંને પક્ષોએ દાવો કર્યો હતો કે તે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી.




















