ગુજરાત ATSએ સુરત શહેર પોલીસની મદદથી ઉધના રેલ્વે સ્ટેશન ખાતેથી રૂપિયા 1,59,000ની ભારતીય બનાવટી ચલણી નોટો પકડી પાડી છે. સુરતના માંકણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી પશ્ચીમ બંગાળથી ભારતીય ચલણની રૂપિયા 500ના દરની બનાવટી ચલણી નોટો બજારમાં અસલી નોટ તરીકે ચલણમાં ફરતી કરી ભારતીય અર્થતંત્રને ખોખલું કરવાના ઇરાદે લઇ આવી પોરબંદર કવિગુરૂ એક્સપ્રેસ ટ્રેનમાં તા.22 જુલાઈ 2025ના રોજ સુરત ઉધના રેલ્વેસ્ટેશન ખાતે આવનાર છે તેવી બાતમી ATSને મળી હતી.
ATSએ 1,59,500 મુલ્યની બનાવટી ચલણી નોટો રિકવર કરી
જે બાતીના આધારે ATSએ સુરત શહેર પોલીસની ટીમની મદદથી રેઇડ કરી હતી. જે દરમિયાન સત્યનારાયણ દેવીલાલ તેલી પાસેથી રૂપિયા 500ના દરની કુલ 319 નોટ નંગ કુલ રૂપિયા 1,59,500 મુલ્યની બનાવટી ચલણી નોટો રિકવર કરી જપ્ત કરવામાં આવી છે. જે આધારે એ.ટી.એસ. પો.સ્ટે. ખાતે તા. 22 જુલાઈ 2025ના રોજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમો 179,180 તથા 61(2) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તપાસમાં શું ખુલાસો થયો?
આરોપીની પુછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, આરોપી સત્યનારાયણ નાઓએ રૂપિયા 500ના દરની કુલ નોટ નંગ 319 કુલ રૂ.1,59,500 મુલ્યની બનાવટી નકલી ચલણી નોટો, રૂ.59,000 અસલી ચલણી નોટોના બદલામાં પશ્ચિમ બંગાળના ઇસમ પાસેથી મેળી હતી. જે બાદ આરોપી બનાવટી ચલણી નોટો ટુકડે ટુકડે સર-સામાનની ખરીદી કરી બજારમાં ફરતી કરવાનો હોવાનું તપાસમાં ખુલાસો થયો છે.





