નવી દિલ્હી: નોકરીયાત વર્ગ માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) માત્ર બચતનું સાધન નથી, પરંતુ નિવૃત્તિ બાદની આર્થિક સુરક્ષાનો સૌથી મજબૂત આધાર પણ છે. હવે EPF સ્કીમ-2026 હેઠળ કર્મચારીઓને તેમના માસિક PF યોગદાનમાં ફેરફાર કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હોવાનું ચર્ચામાં છે. આ મુજબ કર્મચારીઓ 12 ટકા, 9 ટકા અથવા દર મહિને રૂ. 1,800ના ફ્લેટ યોગદાનમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકશે. જોકે, નાણાકીય નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે હાથમાં વધુ પગાર મેળવવાના લોભમાં જો કર્મચારીઓ ઓછું યોગદાન પસંદ કરશે, તો નિવૃત્તિ સમયે તેમને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી શકે છે.
નવા વિકલ્પોનો મુખ્ય હેતુ કર્મચારીઓને વધુ લવચીકતા આપવાનો છે, જેથી તેઓ પોતાની આર્થિક જરૂરિયાત મુજબ PFમાં યોગદાન નક્કી કરી શકે. જોકે, લાંબા ગાળાની બચત અને કમ્પાઉન્ડિંગના ફાયદાને ધ્યાનમાં લીધા વગર લેવાયેલો નિર્ણય ભવિષ્યમાં મોટી આર્થિક મુશ્કેલી ઊભી કરી શકે છે.
EPFમાં મળ્યા ત્રણ વિકલ્પ
નવી વ્યવસ્થા હેઠળ કર્મચારીઓને ત્રણ અલગ-અલગ વિકલ્પ ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પ્રથમ અને પરંપરાગત વિકલ્પ મુજબ કર્મચારી પોતાના પગારના 12 ટકા જેટલું યોગદાન EPFમાં જમા કરાવી શકે છે. આ સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે કારણ કે તેમાં સરકાર દ્વારા નક્કી કરાયેલા વ્યાજનો લાભ મળે છે અને નિવૃત્તિ સમયે મોટું ફંડ તૈયાર થાય છે.
બીજો વિકલ્પ 9 ટકા યોગદાનનો છે. આ વિકલ્પ પસંદ કરવાથી કર્મચારીના હાથમાં દર મહિને થોડો વધુ પગાર આવશે, જેનો ઉપયોગ ઘરલોનની EMI, બાળકોના શિક્ષણ, મેડિકલ ખર્ચ અથવા અન્ય જરૂરી ખર્ચ માટે થઈ શકે છે. ત્રીજો વિકલ્પ દર મહિને માત્ર રૂ. 1,800ના ફ્લેટ યોગદાનનો છે. આ વિકલ્પ ખાસ કરીને એવા લોકો માટે યોગ્ય માનવામાં આવે છે, જેઓ નાણાકીય આયોજન સારી રીતે કરી શકે અને બચેલી રકમનું નિયમિત રીતે SIP, NPS અથવા અન્ય રોકાણ યોજનાઓમાં રોકાણ કરે.
આ પણ વાંચો: ઝીરો ટેક્સ હોવા છતાં ITR ભરવું પડશે : આ 7 નિયમ નહીં જાણો તો પડી શકે છે મુશ્કેલી
કમ્પાઉન્ડિંગની શક્તિને અવગણશો નહીં
નાણાકીય નિષ્ણાતોનું કહેવું છે કે PFની સૌથી મોટી તાકાત કમ્પાઉન્ડિંગ છે. દર મહિને થતી નાની બચત લાંબા ગાળે વ્યાજ પર વ્યાજ મળવાને કારણે વિશાળ ફંડમાં પરિવર્તિત થાય છે. ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીની EPF માટે ગણાતી માસિક સેલેરી રૂ. 50,000 હોય અને તે 30 વર્ષ સુધી નોકરી કરે, તો 12 ટકા યોગદાનની સરખામણીએ 9 ટકા યોગદાન પસંદ કરવાથી દર મહિને લગભગ રૂ. 1,500 ઓછા જમા થશે. શરૂઆતમાં આ તફાવત નાનો લાગશે, પરંતુ લાંબા ગાળે કમ્પાઉન્ડિંગના કારણે નિવૃત્તિ સમયે અંદાજે રૂ. 22 લાખથી રૂ. 25 લાખ સુધીનું ઓછું ફંડ મળી શકે છે.
જો કોઈ કર્મચારી માત્ર રૂ. 1,800ના ફ્લેટ યોગદાનનો વિકલ્પ પસંદ કરે અને બચેલી રકમનું યોગ્ય રોકાણ ન કરે, તો નિવૃત્તિ સમયે કુલ નુકસાન રૂ. 70 લાખ અથવા તેનાથી વધુ પણ થઈ શકે છે. આ જ કારણ છે કે નિષ્ણાતો માત્ર હાથમાં વધુ પગાર મળવાની લાલચમાં નિર્ણય ન લેવાની સલાહ આપી રહ્યા છે.
કોના માટે કયો વિકલ્પ યોગ્ય?
નાણાકીય આયોજનકારોના મતે, દરેક કર્મચારીની આવક, ઉંમર અને આર્થિક જવાબદારીઓ અલગ હોય છે. જો કોઈ વ્યક્તિ નિયમિત બચત કરી શકતો ન હોય, તો 12 ટકાનો વિકલ્પ સૌથી સુરક્ષિત ગણાય છે. જો કર્મચારી પર હાલ ઘરલોન, શિક્ષણલોન અથવા અન્ય મોટો ખર્ચ હોય અને તેને થોડા સમય માટે વધારાની લિક્વિડિટીની જરૂર હોય, તો 9 ટકાનો વિકલ્પ વિચારવા યોગ્ય બની શકે છે.
પરંતુ રૂ. 1,800ના ફ્લેટ યોગદાનનો વિકલ્પ માત્ર એવા રોકાણકારો માટે યોગ્ય છે, જેઓ બચેલી રકમને દર મહિને શિસ્તબદ્ધ રીતે SIP, NPS અથવા અન્ય લાંબા ગાળાના રોકાણમાં મૂકી શકે. જો બચેલી રકમ રોજિંદા ખર્ચમાં વપરાઈ જાય તો ભવિષ્યમાં મોટું નુકસાન થઈ શકે છે.
નિવૃત્તિનું આયોજન સૌથી મહત્વનું
ભારતમાં મોટા ભાગના નોકરીયાત લોકો માટે EPF નિવૃત્તિ બાદનું સૌથી મોટું સુરક્ષા કવચ છે. તેમાં સરકાર દ્વારા જાહેર થતું વ્યાજ, નિયમિત બચત અને કમ્પાઉન્ડિંગનો લાભ લાંબા ગાળે મજબૂત કોર્પસ તૈયાર કરવામાં મદદ કરે છે.
નાણાકીય નિષ્ણાતોનું માનવું છે કે કોઈપણ કર્મચારીએ EPF યોગદાન ઘટાડવાનો નિર્ણય લેતા પહેલાં પોતાની આવક, ભવિષ્યની જરૂરિયાતો, પરિવારની જવાબદારીઓ અને અન્ય રોકાણ ક્ષમતાનું યોગ્ય મૂલ્યાંકન કરવું જોઈએ. માત્ર આજની ટેક-હોમ સેલેરી વધારવા માટે લેવામાં આવેલો નિર્ણય નિવૃત્તિ સમયે આર્થિક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
નોંધનીય છે કે EPF સંબંધિત કોઈપણ નવા નિયમ અથવા યોગદાનમાં ફેરફાર અંગે અંતિમ નિર્ણય લેતા પહેલાં કર્મચારીઓએ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માર્ગદર્શિકા અને નિયમોની પુષ્ટિ અવશ્ય કરવી જોઈએ. હાલ ચર્ચામાં રહેલા આ વિકલ્પોને લઈને સત્તાવાર અમલીકરણની વિગતો સામે આવે ત્યારબાદ જ અંતિમ નિર્ણય લેવો યોગ્ય રહેશે.





