અમદાવાદના મણિનગરમાં દુર્ગા સ્કૂલમાં વિદ્યાર્થીની પાણીની બોટલમાં બીજા વિદ્યાર્થી દ્વારા ગોળી નાખવાની ઘટનાએ ચિંતા જગાવી છે. આ ગંભીર ઘટનાને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ પોતાનું નિવેદન આપ્યું છે.
'DEO એ વિગતવાર અહેવાલ પણ મંગાવ્યો છે'
શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, 'પાણીની બોટલમાં અન્ય વિદ્યાર્થી દ્વારા ગોળી નાખવામાં આવી હતી” તેમણે વધુમાં જણાવ્યું કે, ઘટનાને પગલે બાળકની તાત્કાલિક મેડિકલ તપાસ કરવામાં આવી છે. મેડિકલ રિપોર્ટ મુજબ વિદ્યાર્થી સંપૂર્ણ સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને ગંભીરતાથી લેતાં શિક્ષણ મંત્રીએ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ પણ આપ્યા છે. સ્કૂલમાં આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું. વધુમાં કહ્યું કે, આ સમગ્ર મામલે DEO એ વિગતવાર અહેવાલ પણ મંગાવ્યો છે'
પાણીની બોટલમાં ઘરેથી લાવેલી ગોળી નાંખી!
પ્રાપ્ત માહિતી મુજબ 23 જાન્યુઆરીના રોજ રિસેસ દરમિયાન તક મળતાં જ વિદ્યાર્થીએ સાથી મિત્રની બેગ પાસે જઈ તેની પાણીની બોટલમાં ઘરેથી લાવેલી પતંગમાં ઉપયોગ થતી ડામરની ગોળીઓ નાખી દીધી હતી. આ સમગ્ર ઘટના સ્કૂલમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે.
ડામરની ગોળી નાખનાર વિદ્યાર્થીને હાલ સ્કૂલે આવવાની ના પાડી
પછી જ્યારે બીજા વિદ્યાર્થીએ બોટલમાંથી પાણી પીધું ત્યારે તેને તરત જ વિચિત્ર ગંધ આવી હતી. તબિયત વધુ ખરાબ ન થાય તે માટે બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. સદનસીબે બાળકને કોઈ ગંભીર નુકસાન થયું ન હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર બાબત સ્કૂલના ધ્યાન પર આવતા સંચાલકો દ્વારા બંને વિદ્યાર્થીઓના માતા-પિતાને બોલાવી સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. ડામરની ગોળી નાખનાર વિદ્યાર્થીને હાલ સ્કૂલે આવવાની ના પાડવામાં આવી છે.
DEOએ સ્કૂલને શો-નોટિસ ફટકારી
આ ઘટનામાં વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. સ્કૂલ સંચાલકો દ્વારા ઘટના બન્યા બાદ પણ જિલ્લા શિક્ષણાધિકારીને લગભગ 10 દિવસ સુધી જાણ કરવામાં આવી નહોતી. આ બાબત સામે આવતા જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ દુર્ગા સ્કૂલને શો-નોટિસ ફટકારી છે અને કારણદર્શક જવાબ માંગ્યો છે. હાલ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ સ્કૂલોમાં બાળકોની સુરક્ષા અને શાળાની જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.




















