logo-img
Education Department Refutes Claims That Teachers On Kirit Patel

શિક્ષકો પાસે કૂતરા ગણાવવા અંગે શિક્ષણ વિભાગનો રદિયો : "છટકવાનો પ્રયાસ કરે છે..." કિરીટ પટેલના શિક્ષણ વિભાગ પર આકરા પ્રહારો

શિક્ષકો પાસે કૂતરા ગણાવવા અંગે શિક્ષણ વિભાગનો રદિયો
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 14, 2026, 10:11 AM IST

રાજ્યના વિવિધ વર્તમાનપત્રો અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચાર, જેમાં જણાવવામાં આવ્યું છે કે “સરકાર હવે શિક્ષકો પાસે રખડતાં કૂતરાં પણ ગણાવશે”. જે અનુસંધાને કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ સમાચારો તદ્દન સત્યથી વેગળા અને પાયાવિહોણા છે.

શિક્ષકો પાસે કુતરા ગણાવવા મામલે શિક્ષણ વિભાગની સ્પષ્ટતા

શિક્ષણ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટના 7 નવેમ્બર 2025 ના Suo Moto Writ Petition (CIVIL) No: 5/2025 આદેશ મુજબ, તમામ સાર્વજનિક સંસ્થાઓ અને કેમ્પસમાં શ્વાનોની સુરક્ષા અને વ્યવસ્થા અંગે સૂચનાઓ આપવામાં આવી છે.

જેથી ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરના 3 ફેબ્રુઆરી 2026 ના પત્રથી સુપ્રિમ કોર્ટના આદેશોનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવાના હેતુસર શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, બસ સ્ટેશન અને અન્ય જાહેર કચેરીઓના કેમ્પસમાં રખડતા શ્વાનોનો સર્વે કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જે અંતર્ગત શિક્ષણ વિભાગના 11 ફેબ્રુઆરી 2026 ના પત્ર મુજબ કમિશનર શાળાઓની કચેરીના તાબા હેઠળની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, કચેરીઓ, કેમ્પસ વગેરે વિસ્તારોમાં આદેશ મુજબની કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે. જેમાં આ કામગીરી માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો કે અન્ય કર્મચારીઓએ કરવાની રહેશે એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

આમ, રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ વિભાગને આ બાબતે સૂચના મળતા, અત્રેની કચેરીએ જાહેરહિતમાં જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરી છે. ઉક્ત તમામ બાબતો ધ્યાને લેતા ગુજરાત રાજ્યના જુદા જુદા વર્તમાનપત્રોની આવૃતિમાં આ અંગે પ્રસિધ્ધ થયેલ સમાચાર સત્યથી વેગળા છે, તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના શિક્ષણ વિભાગ પર પ્રહાર

આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું, "શિક્ષણ વિભાગે કુતરાના સર્વેની કામગીરી બાબતે જે રદિયો આપ્યો છે, અને તેમાં કહ્યું છે કે અમે શૈક્ષણિક કેમ્પસની અંદર શિક્ષકોને કુતરાઓનો સર્વે કરવાની કામગીરી સોંપી છે."

"કુતરાને બે પગ છે કે ચાર, સફેદ કે કાળો, કરડે છે કે નહીં" : કિરીટ પટેલ

પાટણ ધારાસભ્યએ શિક્ષણ વિભાગ પર આકરા પ્રહાર કરતાં વધુમાં બોલ્યા, "પરંતુ કુતરાઓનો સર્વે કરવાની કામગીરી એટલે શું?, કુતરાને બે પગ છે કે ચાર, સફેદ કે કાળો, કરડે છે કે નહીં કરડતો આ બધી કામગીરી?" આગળ બોલ્યા, "શિક્ષણ વિભાગે એ સ્પષ્ટ કરવું જોઈએ કે, આ સર્વેની કામગીરી એટલે શું? અને સર્વેની કામગીરી શિક્ષકોને શા માટે સોંપવામાં આવે, સરકારે આના માટે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ."

"શિક્ષણ વિભાગ ફસાયું છે.."

કિરીટ પટેલે આગળ કહ્યું, "મને લાગે છે કે આ પરિપત્ર બહાર પાડી શિક્ષણ વિભાગ ફસાયું છે. એટલે આવા ખોટા બહાના બતાવી અને અમે આવી કોઈ કામગીરી સોંપી નથી... એવા બહાના બતાવી છટકવાનો પ્રયાસ કરે છે."

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now