Amreli Earthquake : અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. સવારે લગભગ 5.50 વાગ્યાના સમયગાળામાં ધારી ગીરના ગામડાઓ, ખાસ કરીને વીરપુર સહિતના જંગલ વિસ્તારમાં ધરતીકંપ અનુભવાયો હતો. સિસ્મોલોજી વિભાગ અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.4 નોંધાઈ છે.
ધારી ગીરના ગામડાઓમાં ભૂકંપ
ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે આપેલી માહિતી મુજબ આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીથી અંદાજે 44 કિલોમીટર સાઉથ-સાઉથ વેસ્ટ તરફ નોંધાયું હતું. ભૂકંપ નાનો હોવાથી મોટા પ્રમાણમાં કોઈ નુકસાન થયું હોવાની માહિતી નથી. જોકે વહેલી સવારે ધરતીકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં થોડી ક્ષણો માટે ભયનો માહોલ સર્જાયો હતો.
કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી
આ ભૂકંપના આંચકાથી કોઈ જાનહાનિ કે નુકસાન નોંધાયું નથી, પરંતુ સિસ્મોલોજી વિભાગ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
જાણો ભૂકંપ કેમ આવે છે?
ભૂકંપનું મુખ્ય કારણ પ્લેટો તૂટ્યા પછી અને અથડાયા પછી ઉર્જાનું પ્રકાશન છે. પૃથ્વીની નીચે હાજર આ ટેક્ટોનિક પ્લેટો ધીમી ગતિએ ફરે છે. આ પ્રક્રિયા દરમિયાન કેટલીક પ્લેટો એકબીજા ઉપર ખસે છે અને કેટલીક પોતાની જગ્યાએથી સરકી જાય છે, જેના કારણે ભૂકંપ થાય છે. જે જગ્યાએ ખડકો એકબીજા સાથે અથડાય છે તે ભૂકંપનું કેન્દ્રબિંદુ છે. ભૂકંપની ઉર્જા આ કેન્દ્રબિંદુમાંથી ફેલાય છે, જ્યારે તે સપાટી પર પહોંચે છે, ત્યારે કંપનો અનુભવ થાય છે.






