Gir Somnath Crime News : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી સુભાષ રોડ પર વહેલી પરોઢે ચકચાર મચાવતી હત્યાની ઘટના સામે આવી છે. દેવીપૂજકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ થયેલી મારામારીમાં 50 વર્ષીય પુનાભાઈ બાબુભાઈ સોલંકીનું ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન મોત થયું છે.
પથ્થરના ઘા મારી હત્યા
પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક પુનાભાઈ સોલંકી અને તેમના સાળા વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો, જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો. ઝઘડામાં પથ્થરના ઘા મારી પુનાભાઈને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની પોલીસ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનામાં અન્ય બે વ્યક્તિઓને પણ ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ કાફલો ઘટનાસ્થળે
ઇજાગ્રસ્તોમાં સંજય બધો સોલંકીનો પણ સમાવેશ થતો હતો, જે સારવાર લીધા બાદ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. DySP વી આર ખેંગાર, PI ગોસ્વામી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા હત્યાના કારણો અને સંડોવાયેલા આરોપીઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ આરોપીઓની ધરપકડ માટે પોલીસની વિવિધ ટીમો દ્વારા શોધખોળ તેજ બનાવવામાં આવી છે. વહેલી પરોઢે બનેલી આ ઘટનાથી વેરાવળ વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ છે.





















