ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનો જશ ખાટવા ડોનાલ્ડ ટ્રમ્પે મોટી ટ્વીટ કરી છે. આ ટ્વીટ વાયરલ થયા બાદ ભારતમાં રાજકીય ચર્ચાઓ શરૂ થઇ છે. ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની તૈયારી દર્શાવી છે. બે દેશો વચ્ચે યુદ્ધ દેવી સ્થિતિ પછી ટ્રમ્પે બંને દેશોની દુશ્મનાવટ બંધ કરવા સંમતિ દર્શાવીને "બોલ્ડ અને નિર્ણાયક" પગલાં લેવા બદલ પ્રશંસા કરી. તેમણે શાંતિપૂર્ણ ઉકેલના મહત્વ પર ભાર મૂક્યો,
ટ્રમ્પે કહ્યું કે, 'આ યુદ્ધ મોટા વિનાશનું કારણ બની શકતું હતું અને લાખો નિર્દોષ લોકોના મોત થઈ શકતાં હતાં. મને ભારત અને પાકિસ્તાનના મજબૂત નેતૃત્વ પર ગર્વ છે. તેમણે સમયસર સમજી લીધું કે, સંઘર્ષ રોકવો જરૂરી હતો, જેનાથી લાખો નિર્દોષ લોકોનો જીવ બચાવી શકાય. આ નિર્ણય ન ફક્ત બહાદુરીભર્યો હતો પરંતુ, બંને દેશોના વારસાને વધુ ગૌરવશાળી બનાવનારો છે.'
જો કે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન બાદ તેમણે બીજું નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કશ્મીર મુદ્દા પર કહ્યું કે, 'જો ભારત અને પાકિસ્તાન ઇચ્છે તો અમે સાથે મળીને કાશ્મીર મુદ્દે લાંબાગાળાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરીશું. કદાચ 1000 વર્ષ બાદ હવે સમય આવી ગયો છે કે, આપણે આ ઐતિહાસિક વિવાદનું સમાધાન શોધીએ.' જોકે, ટ્રમ્પ એ ભૂલી ગયા છે કે, કાશ્મીરને લઈને ભારતની સ્પષ્ટ નીતિ છે કે, આ ભારતનો આંતરિક મામલો છે. ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિમાં ભારતની નિર્ણાયક કાર્યવાહી વચ્ચે પાકિસ્તાનને IMFની લોન મળવી, અને બાદમાં અમેરિકાની જમ્મુ કશ્મીર મુદ્દે મધ્યસ્થતાની વાતને લઇને અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા છે. તો બીજી બાજુ ભારત પાકિસ્તાને સીઝફાયર અંગે સહમતિ દર્શાવ્યા બાદ પાકિસ્તાનની અવળચંડાઇનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.
સમગ્ર સ્થિતિ વચ્ચે ભારત પાકિસ્તાન વિવાદ વચ્ચે કૂદીને મધ્યસ્થતા માટે ઉતાવળા થઇ રહેલા ટ્રમ્પ પોતાનો એકડો સીધો કરવા માગે છે. જો કે ભારતે સમગ્ર સ્થિતિ અંગે સ્પષ્ટ કરી દીધું છે કે ઓપરેશન સિંદૂર હજી પણ યથાવત છે. અને કોઇ પણ નાપાક આતંકી હુમલાને યુદ્ધ ગણવામાં આવશે.






