જો તમારું ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકમાં ખાતું છે, તો આ સમાચાર તમારા માટે છે. બેંકે બચત ખાતાના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. કોટક બેન્કે રૂ. 5 લાખ અને રૂ. 50 લાખના દૈનિક બેલેન્સવાળા બચત ખાતા પર વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટ્સ (BPs)નો ઘટાડો કર્યો છે. નવા દરો 25 એપ્રિલ, 2025 થી અમલમાં આવ્યા છે. અગાઉ બેંકે 17 ફેબ્રુઆરી, 2025 ના રોજ બચત ખાતા પરના વ્યાજ દરમાં 0.50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો.
આ છે સુધારેલા દરો
નવા માળખા હેઠળ, રૂ. 50 લાખ સુધીના દૈનિક બેલેન્સવાળા બચત ખાતાઓ પર હવે વાર્ષિક 2.75 ટકાના દરે વ્યાજ મળશે, જ્યારે રૂ. 50 લાખથી વધુ બેલેન્સ ધરાવતા ખાતાઓ માટે વ્યાજ દર વધીને વાર્ષિક 3.25 ટકા થયો છે. 17 ફેબ્રુઆરી 2025 ના રોજ થયેલા સુધારા પછી, 50 લાખ રૂપિયા સુધીની બેલેન્સવાળા બચત ખાતા પર વાર્ષિક 3.00% અને 50 લાખ રૂપિયાથી વધુની બેલેન્સ પર વાર્ષિક 3.50%ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું હતું. હવે તેમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો છે. આ રીતે કોટક બેંકે તેના ગ્રાહકોને બેવડો ઝટકો આપ્યો છે. કોટક મહિન્દ્રા બેંકની વેબસાઈટ અનુસાર નવા દરો આજથી એટલે કે 25મી એપ્રિલથી લાગુ થઈ ગયા છે.
કોટક મહિન્દ્રા બેંકની વેબસાઈટ અનુસાર, 25 એપ્રિલ, 2025 થી, બચત ખાતામાં 50 લાખ રૂપિયા સુધીના દૈનિક બેલેન્સ પર વાર્ષિક 2.75%ના દરે વ્યાજ મળશે અને 50 લાખ રૂપિયાથી વધુ પર વાર્ષિક 3.25% વ્યાજ મળશે. આ વ્યાજ દરો નિવાસી અને બિન-નિવાસી ખાતાઓ (NRE/NRO) બંનેને લાગુ પડે છે. તેવી જ રીતે, બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) વ્યાજ દરોમાં પણ સુધારો કર્યો છે. બેંકે પસંદગીની મુદતવાળી FD પરના વ્યાજ દરોમાં 30 બેસિસ પોઈન્ટ્સ સુધીનો ઘટાડો કર્યો છે.
એપ્રિલમાં બેન્ક દ્વારા એફડીના દરમાં આ બીજો ઘટાડો છે. કોટક બેંક રૂ. 3 કરોડથી ઓછીની 7-14 દિવસની FD પર સામાન્ય ગ્રાહકોને 2.75% અને વરિષ્ઠ નાગરિકોને 3.25% વ્યાજ ઓફર કરી રહી છે. સૌથી વધુ વ્યાજ 23 મહિનાની FD પર આપવામાં આવી રહ્યું છે. સામાન્ય ગ્રાહકો માટે વ્યાજ દર 7.15% અને વરિષ્ઠ નાગરિકો માટે 7.65% છે.
ઘણી બેંકોએ મૂક્યો કાપ
રિઝર્વ બેંકે રેપો રેટમાં ઘટાડો કર્યો ત્યારથી ઘણી બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ અને સેવિંગ્સ એકાઉન્ટ પરના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, એક્સિસ અને યસ બેંક જેવી ખાનગી બેંકોએ તાજેતરમાં બચત ખાતા પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા દેશની બીજી સૌથી મોટી બેંક ICICI એ બચત ખાતા પરના વ્યાજ દરોમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. સુધારેલા માળખા હેઠળ, ICICI બેંક હવે રૂ. 50 લાખથી ઓછા બેલેન્સ માટે વાર્ષિક 2.75% વ્યાજ દર ઓફર કરે છે, જે અગાઉ 3% હતો. તેવી જ રીતે, રૂ. 50 લાખ અને તેથી વધુના બેલેન્સ માટે, વ્યાજ દર અગાઉના 3.50% પ્રતિ વાર્ષિકથી ઘટાડીને 3.25% કરવામાં આવ્યો છે. આ દરોની ગણતરી દૈનિક બંધ બેલેન્સના આધારે કરવામાં આવે છે.





















