Dhurbe Elephant: નેપાળની રાજધાની કાઠમંડુમાં એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને જાણીને કોઈ પણ સ્તબ્ધ થઈ જશે. એક બેકાબૂ હાથીએ 14 વર્ષની અંદર એક જ પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા છે. 'કાઠમંડુ પોસ્ટ'ના અહેવાલ મુજબ, શનિચારા બોટે નામના વ્યક્તિના પરિવાર સાથે આ લોહિયાળ ખેલની શરૂઆત ડિસેમ્બર 2012માં થઈ હતી. નેપાળના ચિતવન નેશનલ પાર્ક નજીક આવેલા માડી નામના નગરમાં 'ધૂર્બે' (Dhrube) નામના એક મદમસ્ત હાથીએ શનિચારાના માતા-પિતા બંનેને કચડીને મારી નાખ્યા હતા. આ આઘાત અને હાથીના ડરથી બચવા માટે શનિચારા બોટેએ પોતાનું રહેઠાણ જ બદલી નાખ્યું.
પુત્રવધૂ અને પૌત્રને પણ મોતને ઘાટ ઉતાર્યા
શનિચારા બોટે પોતાના પરિવાર સાથે રાપ્તી નદી પાર કરીને લગભગ નવ માઇલ દૂર જગતપુર ખાતે જઈને વસી ગયા. તેમનું જીવન ફરીથી પાટા પર આવી ગયું અને તેઓ શાંતિથી જીવવા લાગ્યા. બોટેના પરિવારને લાગ્યું કે હવે ખતરો ટળી ગયો છે, પરંતુ જુલાઈ 2026ની શરૂઆતમાં તેમની જિંદગી ફરીથી વેરવિખેર થઈ ગઈ.
અહેવાલ અનુસાર, બેકાબૂ હાથી 'ધૂર્બે' ફરી એકવાર તેમના ઘરમાં ઘૂસી ગયો અને તેણે બોટેની 25 વર્ષની પુત્રવધૂ અને તેમના 4 વર્ષના પૌત્રને પણ મોતને ઘાટ ઉતારી દીધા. શનિચારા બોટેએ કાઠમંડુ પોસ્ટને રડતા હૈયે જણાવ્યું કે, તેમને લાગતું હતું કે જગતપુરમાં તેઓ અને તેમનો પરિવાર સુરક્ષિત રહેશે, પરંતુ એ હાથીએ તેમને ત્યાં પણ શોધી કાઢ્યા અને તેમના આખા પરિવારને ઉજ્જડ કરી દીધો. બોટેએ દુઃખ સાથે કહ્યું કે હવે તેમની પાસે છુપાવા માટે બીજી કોઈ જગ્યા બચી નથી.
નેપાળના સૌથી કુખ્યાત હાથીઓમાં થાય છે ગણતરી
'ધૂર્બે'ની ગણતરી નેપાળના સૌથી બેકાબૂ અને ખતરનાક હાથીઓમાં થાય છે. તે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક જીવલેણ હુમલાઓ માટે જવાબદાર સાબિત થયો છે. ચિતવન નેશનલ પાર્કના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 2010થી અત્યાર સુધીમાં ધૂર્બે હાથીના કારણે 25 લોકોના મોત થયા છે.
ટ્રમ્પે 20% ટોલ લગાવ્યો તો એક જહાજ પર 290 કરોડનો ખર્ચ વધશે! : ભારત માટે કેટલી છે ચિંતાની વાત?
ધૂર્બે હાથીનું પોતાનું એક વિકિપીડિયા પેજ પણ છે, જેમાં તેના દ્વારા મારી નાખવામાં આવેલા તમામ 25 લોકોની વિગતો આપવામાં આવી છે. વન્યજીવ અધિકારીઓએ જણાવ્યું કે હુમલા રોકવા માટે તેઓએ ઘણા વર્ષો સુધી ધૂર્બે પર નજર રાખી હતી. 2016માં તેને એક ટ્રેકિંગ કોલર (રેડિયો કોલર) પણ પહેરાવવામાં આવ્યો હતો. જ્યારે પહેલા કોલરે કામ કરવાનું બંધ કરી દીધું, ત્યારે 2020માં બીજો કોલર અને ત્યારબાદ 2023માં તેને બદલીને નવો કોલર પહેરાવવામાં આવ્યો હતો. પરંતુ, આ તમામ કડક દેખરેખ છતાં તે નિર્દોષ લોકોનો ભોગ લેતો રહ્યો છે.





