Home Gujarat Devusinh Chauhan Child Marriage Statement Kheda July 2026

"આશરે 50 જેટલા બાળલગ્ન થયા છે." : ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે સ્વીકાર્યું, 'જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી શક્યા નથી'

દેવુસિંહ ચૌહાણ
Image Credit: Devusinh Chauhan FB
Published by: Chintan Chavda
Last Updated: Jul 10, 2026, 11:06 AM IST

‘ટીબી મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત આયોજિત જાહેર કાર્યક્રમ દરમિયાન ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે બાળલગ્નની પ્રથા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે સમાજમાં આજે પણ કેટલીક જૂની માન્યતાઓ અને પરંપરાઓના કારણે ઓછી ઉંમરે દીકરા-દીકરીના લગ્ન થઈ રહ્યા છે, જેના પરિણામે કિશોરીઓ નાની વયે માતા બની રહી છે. તેમના મતે આ માત્ર સામાજિક નહીં, પરંતુ આરોગ્ય અને શિક્ષણ સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે.

સાંસદે જણાવ્યું કે બાળલગ્નના કારણે કિશોરીઓના શિક્ષણમાં વિક્ષેપ આવે છે, તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર પડે છે અને તેમના ભવિષ્યની તકો પણ મર્યાદિત થઈ જાય છે. તેમણે સમાજને આ કુપ્રથા સામે એકજૂટ થઈને કામ કરવાની અપીલ કરી હતી.

સરકારી સર્વેના આંકડા ટાંક્યા

દેવુસિંહ ચૌહાણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે પ્રાંત અધિકારી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC)ના આધારે કરવામાં આવેલા સર્વેમાં ચિંતાજનક વિગતો સામે આવી છે. તેમના જણાવ્યા મુજબ, મહેમદાવાદ તાલુકાના કેટલાક ગામોમાં 17 વર્ષની ઉંમરની 18 કિશોરીઓ સગર્ભા હોવાનું નોંધાયું છે, જ્યારે 18 વર્ષની ઉંમર પૂર્ણ થાય તે પહેલાં જ 48 યુવતીઓ માતા બની ચૂકી છે. તેમણે કહ્યું કે આ આંકડાઓ દર્શાવે છે કે હજુ પણ બાળલગ્ન જેવી પ્રથા સંપૂર્ણપણે અટકી નથી અને તેના નિવારણ માટે વધુ અસરકારક પ્રયાસોની જરૂર છે.

"જનપ્રતિનિધિ તરીકે અમે પણ ક્યાંક નિષ્ફળ રહ્યા"

સાંસદ દેવુસિંહ ચૌહાણે પોતાના ભાષણ દરમિયાન આત્મમંથન કરતાં કહ્યું કે બાળલગ્ન અટકાવવાના પ્રયાસોમાં માત્ર સમાજ સુરક્ષા વિભાગ જ નહીં, પરંતુ જનપ્રતિનિધિઓ તરીકે તેઓ પણ પોતાની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી શક્યા નથી.

તેમણે કહ્યું કે, "આશરે 50 જેટલા બાળલગ્ન થયા છે. તેમાં સમાજ સુરક્ષા વિભાગ તો નિષ્ફળ રહ્યો જ છે, પરંતુ જનપ્રતિનિધિ તરીકે અમે પણ ક્યાંક અમારી જવાબદારી નિભાવવામાં ઊણાં ઉતર્યા છીએ."

આ પણ વાંચો: કપાસ પકવતા ખેડૂતોની થશે ચાંદી! : સરકાર આપશે હેક્ટર દીઠ ₹14 હજાર સુધીની સહાય, આજથી અરજી શરૂ

હોસ્પિટલમાં પ્રસૂતિ થવી સકારાત્મક બાબત

સાંસદે જણાવ્યું કે ચિંતાજનક આંકડાઓ વચ્ચે એક રાહતની બાબત એ છે કે નોંધાયેલા તમામ પ્રસૂતિના કેસો સરકારી અથવા ખાનગી હોસ્પિટલોમાં થયા હતા. જેના કારણે માતા અને નવજાત બાળકને સમયસર આરોગ્ય સેવાઓ મળી શકી હતી. તેમણે સમાજના તમામ વર્ગો, સ્થાનિક આગેવાનો અને સરકારી તંત્રને બાળલગ્ન જેવી કુપ્રથા સામે વધુ અસરકારક અભિયાન ચલાવવા અપીલ કરી હતી. સાથે જ કિશોરીઓના શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સશક્તિકરણને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now